
વીજળી ઇન્ફ્રાસ્ટ્રકચર સંપૂર્ણપણે ધરાશાયી થતાં પુરીમાં અંધારપટ્ટ
સ્થળાંતરિત કરાયેલા લોકોને 4000 શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો
ભુવનેશ્વર એરપોર્ટ સમગ્ર દિવસ બંધ
ભુવનેશ્વરમાં મોબાઇલ ટાવરોને ભારે નુકસાન ટેલિકોમ વ્યવહાર ઠપ
હાવરા-ચેન્નાઇ રૃટની 220 ટ્રેનો રદ વૃક્ષો ધરાશાયી થતાં અનેક રસ્તાઓ બંધ
મમતા બેનર્જીેએ આગામી 48 કલાક સુધીની તમામ રેલી અને સભા રદ કરી દીધી
સરકારે જડબેસલાક તૈયારી કરી 12 લાખ લોકોને સલામત સ્થળે ખસેડતા જાનહાની ઓછામાં ઓછી થઇ

(પીટીઆઇ) ભુવનેશ્વર/ કોલકાતા, તા. 3 મે, 2019, શુક્રવાર
ઓડિશામાં શુક્રવારે ફાની વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ અને ૧૭૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાતા આઠ લોકોનાં મોત થયા છે. અનેક કાચા અને છાપરવાળા મકાનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આજે સવારે આઠ વાગ્યે ફાની વાવાઝોડું ત્રાટક્યું હતું. રાજ્ય સરકારે ઓેડિશામાં અંદાજે ૧૧ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા છે અને અન્ય લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. ઓડિશા પછી આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે.
પુરી જિલ્લામાં ત્રણ જ્યારે ભુવનેશ્વર અને તેની આજુબાજુના વિસ્તારમાં બીજા ત્રણ લોકોના મોત થયા છે.
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સ્થિતિની સમીક્ષા કર્યા પછી જણાવ્યું છે કે વાવાઝોડુમ સૌ પ્રથમ પવિત્ર શહેર પુરીમાં ત્રાટક્યુ હતું જેના કારણે ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ ગણાતા આ શહેરમાં ભારે નુકસાન થયું છે. પુરીમાં વીજળી ઇન્ફ્રાસ્ટ્રકચર સંપૂર્ણપણે ધરાશયી થતા વીજ પુરવઠો ફરીથી શરૃ કરવું એક પડકારજનક કાર્ય બની ગયું છે.
વીજ પુરવઠો ફરીથી શરૃ કરવા માટે અનેક એન્જિનિયરો અને ટેકનિશિયનો કાર્ય કરી રહ્યાં છે. હજારો વૃક્ષો ધરાશયી થવાને કારણે અનેક માર્ગો બ્લોક થઇ ગયા છે.
મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે હાલમાં વાવાઝોડું ઓડિશામાંથી પસાર થઇ રહ્યું હોવાથી નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. પટનાયકે વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાને ધ્યાનમાં રાખી છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૦૦૦ ગામો અને ૫૨ શહેરોના અંદાજે ૧૨ લાખ લોકો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતરિત કરાયેલા લોકોને ૪૦૦૦ શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો છે.
ભુવનેશ્વર અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં મોબાઇલ ટાવરોને નુકસાન થતાં ટેલિકોમ વ્યવહાર પણ ઠપ ગઇ ગયો છે. પુરી, ખુરદા અને કટક જિલ્લામાં જૂના મકાનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
ભુવનેશ્વર એરપોર્ટ આજે સમગ્ર દિવસ બંધ રહ્યું હતું. હાવરા-ચેન્નાઇ રૃટની ૨૨૦ ટ્રેનો રદ કરવામાં આવી હતી. વાવાઝોડું પશ્ચિમ બંગાળમાં પ્રવેશતા મુખ્યપ્રધાન મમતા બેનર્જીેએ આગામી ૪૮ કલાક સુધીની પોતાની તમામ રેલી અને સભા રદ કરી દીધી છે અને તે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. બપોર પછી કોલકાતા એરપોર્ટની તમામ ફલાઇટ રદ કરી દેવામાં આવી હતી.

ઓડિશા રેલવે હોસ્પિટલમાં 'બેબી ફાની'નો જન્મ
ઓડિશાના પાટનગર ભુવનેશ્વરથી પાંચ કિમી દૂર આવેલા માન્ચેશ્વરની રેલવે હોસ્પિટલમાં સવારે ૧૧.૦૩ વાગ્યે જન્મેલા બાળકનું નામ 'બેબી ફાની' રાખવામાં આવ્યું છે.
ફાની વાવાઝોડા ત્રાટકવાની વચ્ચે આ બાળકનો જન્મ થયો હતો. હોસ્પિટલની બહાર ભારે વરસાદ અને પવન ફૂંકાઇ રહ્યો હતો ત્યારે હોસ્પિટલની અંદર આ બાળકે જન્મ લીધો હતો. ઇસ્ટ કોસ્ટ રેલવે(ઇસીઓઆર)ના પ્રવક્તાએ જણાવ્યું છે કે અમે બાળકનું નામ ફાની એટલા માટે રાખ્યું છે કે કારણકે વાવાઝોડુ ચાલુ હતું ત્યારે આ બાળકનો જન્મ થયો હતો.
બાંગ્લાદેશમાં પણ પાંચ લાખ લોકોનું સ્થળાંતર
ઓડિશા પછી વાવાઝોડું ફાની પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં પણ ત્રાટકવાની સંભાવના છે. જેના પગલે પાંચ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોડી રાતે અથવા વહેલી સવારે બાંગ્લાદેશમાં વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડાની અસરને પગલે બાંગ્લાદેશના મોટા ભાગના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y0SGq8
via Latest Gujarati News
0 Comments