
નવી દિલ્હી,તા.23 મે 2020 શનિવાર
એમ્ફાન વાવાઝોડાએ સમગ્ર પશ્ચિમ બંગાળને ઘમરોળ્યું હતું, સાથે જ ઓડિશામાં પણ તેની અસર જોવા મળી હતી. આ પરિસ્થિતિ વચ્ચે વાવાઝોડાને કારણે મૃત્યુ પામેલાની સંખ્યા હવે વધીને ૮૫ પર પહોંચી ગઇ છે. બીજી તરફ લોકોને વિજળી અને પાણી સપ્લાયમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યા હતા. હજારો લોકો વાવાઝોડાને કારણે ઘર વિહોણા થઇ ગયા હતા.
સત્તાવાર આંકડા મુજબ આ વાવાઝોડાને કારણે આશરે ૧.૫ કરોડ લોકોને અસર થઇ છે જ્યારે ૧૦ લાખ મકાન નાશ પામ્યા છે. કોલકાતામાં કેટલાક વિભાગોમાં વિજળી અને મોબાઇલ કનેક્શન શરૂ કરી દેવામાં આવ્યા હતા પણ અનેક વિસ્તારોમાં વિજળી ગુલ રહી હતી. કોલકાતા, હાવડા અને સાઉથ ૨૪ પરગણાસ જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે જેને પગલે રોડ રસ્તા બંધ રાખવામાં આવ્યા હતા. સરકાર હાલ પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. આશરે પાંચ હજાર વૃક્ષોને હટાવી લેવામાં આવ્યા છે અને રોડ રસ્તા સાફ કરી દેવાયા છે તેવો દાવો સરકારી અધીકારીઓએ કર્યો હતો.
અનેક વિસ્તારોમાં લોકો પાસે ખાવા કઇ જ નથી જેને પગલે લૂટપાટની ઘટના સામે આવી રહી છે તેમજ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે. કેન્દ્ર સરકારે એક હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે જ્યારે મમતાનું કહેવું છે કે એક લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે જેની સામે આ સહાય બહુ જ નાની છે.
હાલ પરિસ્થિતિ વધુ બગડતા પશ્ચિમ બંગાળ સરકારે સૈન્ય અને સરકારની મદદ માગી હતી, જેને પગલે સૈન્યના જવાનોએ તાત્કાલીક સ્થિતિને કાબુમા કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. ખાસ કરીને જે શહેરોમાં સૌથી ખરાબ સ્થિતિ છે ત્યાં તેમને તૈનાત કરી દેવામાં આવ્યા છે. રાજ્યએ રેલવે અને મેન પાવરની માગણી પણ કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zoSlah
via Latest Gujarati News
0 Comments