સાસુ-વહૂમાં નહી ફસાય પતિ, જો કરશો એક કામ

લગ્ન પછી દરેક પુરુષની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી હોય છે. લગ્ન પહેલા પુરુષ માનું કહ્યું માને છે પણ લગ્ન પછી તે માતાને થોડો ઓછો સમય આપી શકે છે. મોટાભાગના પુરુષોને એ સાંભળીને દુ:ખ થાય છે કે તેઓ પોતાની પત્નીની વાત માને છે. તેથી આ બંનેની વચ્ચે સંતુલન સાધવા માટે પ્રયત્નો કર્યાં કરે છે. ધીમેધીમે ભય એટલો વધી જાય છે કે તે પત્ની સાથે 5 મિનિટ ગાળે તો મા સાથે 10 મિનિટ ગાળવાનો પ્રયત્ન કરે છે, છતાં સમસ્યા નથી ઉકેલાતી. બંને ઝઘડે ત્યારે કોનો પક્ષ લેવો તે એને સમજાતુ નથી.


ખરેખર તો એ માન્યતા જ ખોટી છે કે મા અને પત્નીને સરખુ મહત્વ આપવું જોઈએ. મા અને પત્નીને ત્રાજવામાં તોલવાની સમાજની માનસિકતા જ ખોટી છે. મોટાભાગના લોકો નવપરણિત સ્ત્રીના જીવનમાં આવતી સામાન્ય સમસ્યાઓને અવગણે છે. નવા ઘરમાં આવેલી નવવધૂની આખી જીંદગી કેવી બદલાઈ જાય છે એ તરફ કોઈનું ધ્યાન નથી જતું. આમ તો આ બંને પાત્રોએ એકબીજાને સમ્માન આપવું જોઈએ. કારણ કે માતાએ બાળકને જન્મ આપ્યો છે અને એના જ સંસ્કાર તમારા પતિમાં છે. સાથે જ જે પરણીને આવી છે તે બીજા કોઈનું સંતાન છે પણ પોતાના બધાને પાછળ મુકીને તમારા ઘરને રોશન કરવા આવી છે.

શું ખરેખર આવા કોઈ સંતુલનની જરૂર છે?

જો કોઈ પતિ પોતાની પત્નીને થોડો વધારે સમય આપે તો તે સ્વાભાવિક અને યોગ્ય છે કારણ કે તે એના જીવનમાં હમણાં જ આવી છે અને એકબીજાને સમજવા માટે તેમણે સમય સાથે ગાળવો જરૂરી છે. તે પરણીને સાસરે આવી હોય તેવા સમયમાં પતિનો સાથ મળે તો સંબંધનો પાયો વધારે મજબુત બને છે. જો કોઈ પતિ પત્ની સાથે થોડો વધારે સમય ગાળે તો એવું જરાય ના સમજવું જોઈએ કે તે છોકરી કોઈના છોકરાને તેની માતાથી દૂર લઇ જઇ રહી છે. એના બદલે એમ સમજો કે તે બંને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.


જ્યારેપણ કોઈ છોકરો પત્નીને સપોર્ટ કરવાની શરૂઆત કરે એટલે પરિવારમાં અસુરક્ષાની ભાવના શરૂ થઇ જાય છે. ઘણાં પરિવારમાં તો છોકરાને વાતો સંભળાવવામાં આવે છે અને એને જોરુનો ગુલામ કહીને હેરાન કરવામાં આવે છે. જો કે એનો અર્થ માતાને અવગણવી એવો નથી થતો. માતા જો ઉપરની બધી વાતોનો ખ્યાલ રાખતી હોય તો પુત્ર અને પૂત્રવધૂએ તેમની ભાવનાઓને સમજવી જોઈએ. પત્નીની સંભાળ રાખતો પતિ તેની માતા સાથે સમય પસાર કરે તો પત્નીએ મા-દિકરાની વચ્ચે ના આવવું જોઈએ. 

સાસુ-વહૂ વચ્ચેની આવી હૂંસા-તુંસી ખરેખર તો સમાજે સર્જેલી હોય છે. તેથી લોકોની વાતો પર ધ્યાન ના આપવું જોઈએ. નવા સંબંધમાં ક્યારેક ગેરસમજ થઇ શકે છે. આવામાં મનદુખ કરીને હેરાન થવાને બદલે ત્રણેય જણાએ સાથે બેસીને સમસ્યાનું સમાધાન શોધી લેવું જોઈએ. સામાન્યરીતે સમય ના આપવાની કે છોકરો છીનવાઈ જવાની લાગણી લગ્ન પછીનો થોડો સમય હોય છે. જો ત્રણેય પાત્રો સૂઝબુઝ અને શાંતિથી આ સમય પસાર કરી લે તો કદી આ વાતને લઇને મોટા વિવાદ થતા નથી.



from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YiOtPE
via Latest Gujarati News

Post a Comment

0 Comments