(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૧૩
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આતંકવાદ સંગઠનોને અપાતી મદદ સંપૂર્ણપણે બંધ કરાવવાનું વચન આપ્યું હતું પણ એવા કોઇ પુરાવા મળ્યા નથી કે ઇમરાન ખાને આ વચન પૂર્ણ કર્યુ છે તેમ અમેરિકા ખાતેના પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસેન હક્કાનીએ જણાવ્યું છે.
હક્કાનીએ વધુમાં જણાવ્યું હતું કે ઇમરાન ખાને આ વચન ગ્લોબલ ટેરર ફાઇનાન્સિંગ વોચડોગ એફએટીએફ દ્વારા બ્લેકલિસ્ટ થવાના ભયથી આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવા વૈશ્વિક દબાણ વધતા ઇમરાન ખાને ગયા મહિનામાં જણાવ્યું હતું કે મારી સરકાર પાકિસ્તાનની જમીનને કોઇ પણ આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે. હું વચન આપું છું કે મારી સરકાર આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરશે.
અમેરિકા ખાતેના પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હક્કાનીએ વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી એવા કોઇ પુરાવા મળ્યા નથી ઇમરાન ખાનની સરકારે આતંકી સંગઠનોના સ્થળોને ધ્વસ્ત કર્યા હોય.
'ઇન્ડિયા આઇડિયાસ કોન્ફરન્સ'ને સંબોધતા હક્કાનીએ જણાવ્યું હતંા કે આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાનના વલણમાં કોઇ મોટો ફેરફાર થયો નથી.
જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલો થયા પછી પણ પાકિસ્તાન જૈશે મોહંમદ આતંકી સંગઠન અને તેના વડા મસૂદ અઝહર સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડયું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2v1zaxo
via Latest Gujarati News
0 Comments