
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 3 મે, 2019, શુક્રવાર
સુપ્રીમ કોર્ટમાં સનસનાટી ખુલાસો કરતા સીબીઆઇએ જણાવ્યું છે કે મુઝ્ફફરપુર શેલ્ટર હોમ કેસના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેમના સાથીઓએ ૧૧ યુવતીઓની હત્યા કરી હતી અને જમીનમાં દાટેલા મૃતક કિશોરીઓના હાડકા મળી આવ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં સીબીઆઇએ એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું છે કે પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બ્રજેશ કુમાર અને તેમના સહયોગીઓએ ૧૧ યુવતીઓની હત્યા કરી હતી.
સીબીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે એક આરોપીએ પૂછપરછ દરમિયાન મૃતદેહો ક્યાં દાટવામાં આવ્યા હતાં તેની માહિતી આપતા જે જગ્યાએ જમીન ખોદતા હાડકાઓ મળી આવ્યા હતાં. ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સ(ટીઆઇએસએસ)ના અહેવાલ પછી આ કેસ સપાટી પર આવ્યો હતો. એક એનજીઓ દ્વારા ચલાવવામાં આવતા આ શેલ્ટર હોમમાં અનેક કિશોરીઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી અને એજન્સીએ ઠાકુર સહિત ૨૧ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ગુડ્ડુ પટેલ નામના આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે કિશોરીઓની હત્યા કરીને તેમના હાડકા જમીનમાં દાટી દેવામાં આવતા હતાં. ગુડ્ડુ પટેલે બતાવેલા સ્થળે જમીન ખોદવાથી આ હાડકા મળી આવ્યા હતાં. ખંડપીઠે આ કેસની આગામી સુનાવણી ૬ મેના રોજ રાખી છે. સીબીઆઇએ એફિડેવિટમાં જણાવ્યું છે કે તેણે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y4Y4so
via Latest Gujarati News
0 Comments