
નવી દિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર
કર્ણાટક ભાજપ પ્રમુખ બી એસ યેદિયુરપ્પાએ લોકસભા ચૂંટણીમાં મળેલા ઐતિહાસિક વિજય પછી ફરી એક વખત કોંગ્રેસ-જેડીએસ સરકાર ભંગ કરી વિધાનસભા ચૂંટણી કરાવવાની માગ કરી છે.
ભારતીય જનતા પાર્ટીએ તાજેતરની લોકસભા ચૂંટણીમાં કર્ણાટકની ૨૮માંથી ૨૫ બેઠકો જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪ની ચૂંટણીમાં તેને ફક્ત ૧૭ બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને ૯ અને જેડીએસને બે બેઠકો મળી હતી.
પૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પાએ જણાવ્યું છે કે અમે ૨૮માંથી ૨૫ બેઠકો જીતી છે. આ એક ઐતિહાસિક વિજય છે. સરકાર ભંગ કરી મધ્યસ્થ ચૂંટણી કરાવવામાં આવે તો તે સારુ રહેશે. ભાજપના કોઇ નેતાઓ કોંગ્રેસ કે જેડીએસના ધારાસભ્યોના સંપર્કમાં નથી.
ઉલ્લેખનીય છે કે ભાજપના કેટલાક નેતાઓએ થોડાક દિવસ પહેલા દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થતા જ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકારનું પતન થશે અને કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં સામેલ થશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X9UCg4
via Latest Gujarati News
0 Comments