
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધની ચોકીદાર ચોર હેની ટિપ્પણી બદલ મેં બિનશરતી માફી માગી લીધી હોવાથી મારી વિરુદ્ધની કોર્ટની અવગણના કાર્યવાહી બંધ કરો તેમ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું.
ભાજપના સાંસદ મિનાક્ષી લેખી દ્વારા રાહુલ ગાંધીની વિરુદ્ધ કરાયેલ કોર્ટની અવગણનાના કેસમાં મુખ્ય ન્યાયમૂતિ રંજન ગોગોઇના નેતૃત્ત્વવાળી ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો છે.
રાહુલ ગાંધી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એ એમ સિંઘવીએ ગોગોઇ ઉપરાંત ન્યાયમૂર્તિ એસ કે કૌલ અનેે ન્યાયમૂર્તિ કે એમ જોસેફની બનેલી ખંડપીઠને જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખે બિનશરતી માફી માગી લીધી છે અને સુપ્રીમ કોર્ટમાં આ ટિપ્પણી કરવા બદલ દુ:ખ વ્યક્ત કર્યુ છે.
બીજી તરફ લેખી વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાહુલની માફી ફગાવી દેવી જોઇએ અને તેમની વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી કરવી જોઇએ. રોહતગીએ માગ કરી હતી કે કોર્ટે રાહુલને નિર્દેશ આપવા જોઇએ કે તે આ ટિપ્પણી બદલ દેશના લોકોની માફી માગે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hd0zDF
via Latest Gujarati News
0 Comments