ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવા અંગેનો નિર્ણય ચૂંટણી બાદ થશેઃ સુષમા સ્વરાજ

નવી દિલ્હી, તા. 15 મે 2019, બુધવાર

અમેરિકા અને ઇરાન વચ્ચે વ્યાપેલા તણાવ મધ્યે ઇરાનના વિદેશ મંત્રી જાવેદ ઝારિફ ભારતની મુલાકાતે છે ત્યારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું છે કે ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવા અંગેનો નિર્ણય લોકસભાની ચૂંટણી બાદ લેવામાં આવશે. તેમણે કહ્યું કે આ નિર્ણય ભારતની વ્યાવસાયિક જરૂરિયાતો, ઉર્જા સુરક્ષા અને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇરાનના વિદેશ મંત્રી પોતાના નિર્ણય પર જ ભારતની યાત્રા પર આવ્યાં છે. તેઓ ક્ષેત્રીય પરિસ્થિતિ, અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો અને દ્વીપક્ષીય સહયોગ પર ચર્ચા કરવા માટે આવ્યાં છે. તેમણે છેલ્લા થોડા દિવસોમાં રશિયા, ચીન, તુર્કમેનિસ્તાન અને ઇરાક સાથે પણ વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી છે.

અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તમામ પક્ષોએ શાંતિપૂર્ણ રીતે આ મુદ્દે સહમતિ બનાવવી જોઇએ અને વાતચીત દ્વારા સમસ્યા ઉકેલવી જોઇએ. ઉલ્લેખનીય છે કે ભારત અને ઇરાનના વિદેશ મંત્રીઓ વચ્ચે આ મુલાકાત અમેરિકા દ્વારા ભારત તેમજ અન્ય દેશો પર ઇરાન પાસેથી પેટ્રોલિયમ ખરીદવા માટે આપવામાં આવેલી 6 મહિનાની છૂટ તાજેતરમાં જ ખતમ કરી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vWMh3h
via Latest Gujarati News

Post a Comment

0 Comments