
અમદાવાદ, તા. 23 મે 2019, ગુરુવાર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 5 લાખ મતની વધુ સરસાઇથી ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીતી જવાનું નિશ્ચિત થઇ ગયું છે. તેઓ હાલમાં રાજ્યસભાના ગુજરાતના સાંસદ છે. લોકસભા બેઠક પરથી તેઓ પ્રથમ વખત ચૂંટાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ અને ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહને કેન્દ્રમાં ખુબ જ મોટું પદ અપાશે. દિલ્હીના સુત્રો જણાવે છે કે, અમિત શાહનું કદ જે રીતે વધ્યું છે તેને ધ્યાનમાં રાખીને નાયબ વડાપ્રધાન પદ ઊભુ કરીને અમિત શાહને તેના પર બેસાડવામાં આવે તેવી શક્યતા છે. જો તેમને નાયબ વડાપ્રધાન નહી બનાવાય તો પછી કેબિનેટ મંત્રી પદ અપાશે જેમાં તેઓને મહત્વનું તેવું ગૃહખાતું અથવા તો ડિફેન્સનું ખાતુ અપાશે.
અમિત શાહને 2014ની ચૂંટણી પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતા. તેઓએ રાજનાથ સિંહનો બાકી રહેલો કાર્યકાળપૂર્ણ કર્યો હતો ત્યાર બાદ સંપૂર્ણ અધ્યક્ષ પદનો બે વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ તેઓએ બે વખત પુરો કર્યો છે. જેમાં તેઓએ 2014ની ચૂંટણીમાં રણનિતી ઘડીને ઉત્તરપ્રદેશમાં 80 માંથી 73 બેઠકો ભાજપને જીતાડી આપી હતી ત્યાર બાદ પણ અનેક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. તેમનો બીજી વખતનો અધ્યક્ષ પદનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો છે. પરંતુ ભાજપ હાઇકમાન્ડે તેમની તાકાતનો ઉપયોગ કરવા માટે અમિત શાહને લોકસભાની ચૂંટણી સુધી અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળી રાખવાનું કહ્યું હતું.
અમિત ભાઇ શાહ હવે લોકસભામાં ચૂંટાયા બાદ રાજ્યસભાના સાંસદ પદેથી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી પણ આગામી સમયમાં રાજીનામું આપી દેશે તેમજ વડાપ્રધાન મોદીના હાથ મજબૂત કરવા દિલ્હીમાં તેમની સાથે જ રહેશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wg6kbZ
via Latest Gujarati News
0 Comments