
કામકાજના અંતે સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 166 પોઈન્ટનો ઊછાળો : વિદેશી રોકાણકારોની નવી લેવાલી જારી
અમદાવાદ, તા. 3 જૂન, 2019, સોમવાર
રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરાશે તેવા પ્રબળ આશાવાદ સહિતના અન્ય સાનુકૂળ અહેવાલો પાછળ ફંડોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ મુંબઈ શેરબજારનો સેન્સેક્સ અને એનએસઈનો નિફ્ટી આજે અનુક્રમે ૪૦૨૬૭ અને ૧૨૦૮૮ની વિક્રમી સપાટીએ બંધ રહ્યા હતા. નવી સરકારની રચના સાથે આર્થિક વિકાસની શરૂ કરાયેલી કવાયતને જોતા આગામી તા. ૬ જૂને રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો કરશે તેવો પ્રબળ આશાવાદ બજારમાં પ્રવર્તી રહ્યો હતો.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ તુટવાની સાથોસાથ ડોલર સામે રૂપિયાની મજબૂતાઈની પણ બજાર પર સાનુકૂળ અસર જોવા મળી હતી. બીજી તરફ ટ્રેડવોરના મુદ્દાને લઈને ઉદ્ભવેલ પ્રતિકૂળતાઓ ડિસ્કાઉન્ટ થઈ જવા પામી હતી.
આ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઈન્ટ્રાડે ઉછળીને ૪૦૩૦૮.૯૦નો નવો ઈતિહાસ રચી કામકાજના અંતે ૫૫૩.૪૨ પોઈન્ટ ઉછળી ૪૦૨૬૭.૬૨ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.
બીજી તરફ એનએસઈનો નિફ્ટી પણ ઈન્ટ્રાડે ૧૨૦૦૦ની સપાટી કુદાવી વધીને ૧૨૧૦૩.૦૫નો ઈતિહાસ રચી અંતે ૧૬૫.૭૫ પોઈન્ટ ઉછળી ૧૨૦૮૮.૫૫ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઈ માર્કેટ કેપ.) રૂા. ૧.૭૬ લાખ કરોડનો વધારો થતા તે રૂા. ૧૫૬.૧૪ લાખ કરોડ પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે કેશમાં રૂા. ૩૦૬૯ કરોડ અને ફ્યુચર્સમાં રૂા. ૨૬૫૫ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wscsil
via Latest Gujarati News
0 Comments