મુંબઇને થાણે-નવી મુંબઇ સાથે સાંકળતા જળમાર્ગ પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી


- મહત્વાકાંક્ષી જળમાર્ગ પ્રકલ્પ માટે ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર  કરવા થાણે મ્યુનિ. કોર્પોરેશનને શિપિંગ મંત્રાલયનો આદેશ

મુંબઇ તા. 28 જૂન 2019, શુક્રવાર

મહાનગર મુંબઇને થાણે તથા નવી મુંબઇ સાથે સાંકળતા મહત્વાકાંક્ષી રૂા.૭૧૭ કરોડના જળમાર્ગ પ્રોજેક્ટને કેન્દ્રના શિપિંગ મંત્રાલયે મંજૂરી આપી છે અને ૯૩ કિલોમીટરની લંબાઇના આ જળમાર્ગ માટે ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવાનો આદેશ થામે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ને આપ્યો છે.

ટીએમસીના કમિશનર સંજીવ જયસ્વાલે શિપિંગ ખાતાના  રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ  માડવિયાને નવી દિલ્હી ખાતે  આ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન ઉપસ્થિત શિવસેનાના કલ્યાણના સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું કે થાણેને મુંબઇ તથા નવી મુંબઇ સાથે જોડતા જળમાર્ગ પ્રોજેક્ટમાં માડવિયાએ રસ દર્શાવ્યો હતો. જળમાર્ગ આ શહેરો વચ્ચેની અવરજવર માટે ટ્રાફિકથી ઉભરાતા રોડ અને રેલવે સિવાયનો એક વૈકલ્પિક માર્ગ બની રહેશે.

આ જળમાર્ગમાં વિવિધ જેટ્ટીઓ ખાતે  થાણે-નવી મુંબઇ માટે સાકેત, કલવા, વિટાવા, મિઠબંદર, ઐરોલી, વાશી નેરુલ, બેલાપુર, તળોજા, જુઇગાંવ, પનવેલ, જેએનપીટી તથા મોરા એમ ૧૮ હોલ્ટ (ઉતારુઓની ચડઉતર માટેના વિરામ સ્થાન) તૈયાર કરાશે. જ્યારે થાણે-મુંબઇ જળમાર્ગની બોટ સાકેત અને વાશી વચ્ચે થાણે-નવી મુંબઇ જળમાર્ગનો ઉપયોગ કરશે તે પછી થાણે-મુંબઇ જળમાર્ગ  ફંટાઇને ટ્રોમ્બે, એલિફન્ટા અને ફરી વ્હાર્ફ થઇને ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે પૂરો થશે.

શરૂઆતમાં આ જળમાર્ગનો ઉપયોગ ઉતારુ પરિવહન માટે કરવામાં આવશે. નિષ્ણાતોએ  જણાવ્યું હતું કે એક સાથે ૨૫૦ ઉતારુઓનું પરિવહન કરી શકે તેવી વધુ ક્ષમતાની બોટનો ઉપયોગ કરવા વિશે અમે વિચારીએ છીએ.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RHc7T7
via Latest Gujarati News

Post a Comment

0 Comments