નવી દિલ્હી તા.26 માર્ચ 2019 મંગળવાર
નેશનલ કોન્ફરન્સના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉક્ટર ફારુખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે ગઇ કાલ સુધી મંદિર મંદિર બોલ્યા કરતા ભાજપી નેતાઓ આજે કેમ ભગવાન રામને યાદ કરતાં નથી. એમનો ધર્મ સગવડિયો છે.
આંધ્ર પ્રદેશના વિજયવાડા વિસ્તારની એક સભામાં બોલતાં ડૉક્ટર ફારુખે કહ્યું કે બાલાકોટમાં 300 આતંકવાદી માર્યા ગયા હોય તો એ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દે એવી ઘટના ગણાય. ખરેખર કેટલા આતંકવાદી માર્યા ગયા એવો વાજબી સવાલ પૂછનારાને હવે દેશદ્રોહી કે પાકિસ્તાનના ચમચા ગણાવાય છે. આ ક્યાંની નીતિ છે.
તેમણે ઉમેર્યું હતું કે બાલાકોટની ઘટના અગાઉ મોટા ભાગના ભાજપી નેતાઓ રામ મંદિર રામ મંદિરની બૂમો પાડતા હતા. આજે કોઇ રામ મંદિરની વાત કરતું નથી. હવે બાલાકોટમાં એર સ્ટ્રાઇકની વાતો કરે છે. આ લોકો પવન જોઇને પલટી મારવામાં ઉસ્તાદ છે. ડૉક્ટર ફારુખે કહ્યું કે ભાજપના લોકો કહે છે કે નરેન્દ્ર મોદી હનુમાન છે. એમણે પાકિસ્તાનને પરાજિત કર્યું. મારો સવાલ એ છે કે પાકિસ્તાન સાથે યુ્દ્ધ ક્યારે થયું અને મોદીએ ક્યારે પાકિસ્તાનને ક્યાં હરાવ્યું એની વિગતો તો જાહેર કરો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HSTWXN
via Latest Gujarati News
0 Comments