
અમદાવાદ તા. 30 માર્ચ 2019, શનિવાર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદમાં શાનદાર રોડ શો કર્યો હતો ચાર કિલો મીટર લાંબા આ શક્તિ પ્રદર્શન દરમિયાન ઠેરઠેર અમિત શાહનું ફૂલો વરસાવીને ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ તેઓએ ગાંધીનગર જઈ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું.
અમિત શાહના આજના આખો દિવસના કાર્યક્રમ બાદ ભાજપના જ સિનિયર નેતાઓ ચર્ચા કરી રહ્યા છે કે ભૂતકાળમાં લાલ કૃષ્ણ અડવાણી કે અટલ બિહારી વાજપેયી જ્યારે ગાંધીનગરનું ફોર્મ ભરવા આવ્યા હતા તે સમયે પણ આ પ્રકારનું શક્તિ પ્રદર્શન ક્યારેય કરાયું ન હતું.
આજના કાર્યક્રમમાં કેન્દ્રના ચાર સિનિયર મંત્રીઓ છ થી સાત રાજ્યોના ભાજપના પ્રદેશ પ્રમુખો તથા ભાજપ સંગઠનના કેન્દ્રીય નેતાઓ ઉપરાંત ભાજપના ઘટક એવા એનડીએના નેતાઓ પણ હાજર રહ્યા હતા ભાજપની સામે બાંયો ચઢાવનાર શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પણ ખાસ હાજર રહ્યા હતા ઉપરાંત રામવિલાસ પાસવાન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ વગેરેએ પણ હાજરી આપી હતી.
આ પ્રકારનું શક્તિ પ્રદર્શન કરીને અમિત શાહે વડાપ્રધાન પદની દાવેદારી નોંધાવી દીધી છે ભાજપના સિનિયર કાર્યકરો પણ સોશિયલ મીડિયા પર એકબીજાને આવા મેસેજો મોકલી રહ્યા છે જેમાં તેઓ એવું લખે છે કે અમિત શાહને હવે ગુજરાતના મુખ્યમંત્રી પદમા કોઈ રસ નથી હવે તેમની નજર વડાપ્રધાન પદ પર છે આજનું શક્તિ પ્રદર્શન કરીને તેઓએ સાબિત કરી આપ્યું છે કે ભાજપમાં તો તેમનું માન છે જ પરંતુ એનડીએના સાથી પક્ષોના વડાઓ પણ તેમને સ્વીકારી રહ્યા છે આથી લોકસભાની ચૂંટણીમાં જો ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળે અને અન્ય પક્ષો નરેન્દ્ર મોદીને ન સ્વીકારે તેવી સ્થિતિમાં પણ અમિત શાહ વડાપ્રધાન પદની રેસમાં આગળ નીકળવા માટે તૈયારી કરી રહ્યા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uyuTRT
via Latest Gujarati News
0 Comments