નવી દિલ્હી, તા. 26 માર્ચ, 2019, મંગળવાર
અલ્ટીમેટ બેનિફિસિઅલ ઓનર્સ (યુબીઓ -અંતિમ લાભકર્તા)ની માહિતી પૂરી પાડવાના સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ધોરણનું પાલન નહીં કરનારા ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટર્સે(એફપીઆઈ) તેમના ખાતાઓના મર્યાદિત બ્લોકેજનો સામનો કરવો પડશે, એમ નિષ્ણાતો મત ધરાવી રહ્યા છે.
ભંડોળના અંતિમ સ્રોત અને ભંડોળનું સંચાલન કરતી વ્યક્તિઓના નામ પૂરા પાડવાની ૨૧ માર્ચની અંતિમ તારીખ સુધીમાં ૧૦ ટકા જેટલા એફપીઆઈ માહિતી પૂરી પાડવાનું ચૂકી ગયા છે. માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયેલા એફપીઆઈ ૧૮૦ દિવસ સુધી નવા રોકાણ કરી શકશે નહીં કારણ કે નિયમ પ્રમાણે સેબીએ તેમના પર રોક લગાવી છે, એમ આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
સેબીના આ નિર્ણયથી બજાર પર કોઈ ખાસ અસર જોવા મળી નથી એટલું જ નહીં વિદેશી ફન્ડસના ઈન્ફલોઝ પર પણ કોઈ અસર જોવા નહીં મળે. સેબીએ આ માટે એફપીઆઈસને એક વર્ષનો સમય આપ્યો હતો.જે એફપીઆઈ પર રોક લગાવવામાં આવી છે તેઓ પોતાની પાસેના માલનું વેચાણ કરી શકશે અને નાણાં પણ સ્વદેશ લઈ જઈ શકે છે. એફપીઆઈની ભારતમાંની એસેટસ બ્લોક કરી દેવાઈ છે અથવા બ્લોક થઈ જશે એમ કહેવું ખોટું ગણાશે એમ સુત્રોએ જણાવ્યું હતું.
ધોરણનું પાલન નહીં કરનારા એફપીઆઈની સંખ્યા ૧૫ ટકાથી પણ ઓછી હોવાનું ધ્યાનમાં રાખતા બજાર પર તેની ખાસ પ્રતિકૂળ અસર નહીં પડે કારણ કે અન્ય રોકાણકારોનો જંગી ફલોઝ ભારતીય મૂડી બજારમાં આવી રહ્યો છે. એફપીઆઈ જે દિવસે આવશ્યક માહિતી પૂરી પાડી દેશે તે દિવસથી તેઓ ખરીદી શરૂ કરી શકશે એમ સેબીના સુત્રોએ જણાવ્યું હતું.
લાભકર્તા માલિકીનો માહિતી પૂરી પાડવામાં કેટલીક એફપીઆઈ ખચકાઈ રહી છે કારણ કે તેમણે તેમની સાથે ગુપ્તતાની શરત રાખી છે. જો કે ૮૦ ટકાથી વધુ એફપીઆઈસ દ્વારા લાભકર્તાઓની માહિતી પૂરી પાડવામાં આવી છે એ પણ એક હકીકત છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uroJmD
via Latest Gujarati News
0 Comments