(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૬
કેન્દ્ર સરકારે આરબીઆઇ ગવર્નર તરીકે શક્તિકાંતા દાસની નિમણૂકની વિગતો જાહેર કરવાનો ઇનકાર કરી દીધો છે. સરકારે આ માટે પારદર્શકતા કાયદાની એક જોગવાઇનો સંદર્ભ આપ્યો છે જે માહિતી જાહેર કરવાથી રોકે છે. જેમાં પ્રધાનો, સચિવો અને અન્ય અધિકારીઓની પરિષદમાં થયેલી ચર્ચા વિચારણાનો રેકોર્ડ સામેલ છે.
એક આરટીઆઇનો જવાબ આપતી વખતે કેન્દ્ર સરકારે આરબીઆઇ ગવર્નરની નિમણૂકની માહિતી આપવાનો ઇનકાર કર્યો છે જેમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોના નામ અને નિમણૂક સંબધિત ફાઇલ નોટિંગ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા ધરાવતી કેબિનેટની પસંદગી સમિતિએ શક્તિકાંત દાસની ત્રણ વર્ષ માટે આરબીઆઇ ગવર્નર તરીકે નિમણૂક કરી હતી. તેમની નિમણૂક ૧૧ ડિેસેમ્બર, ૨૦૧૮ના રોજ કરવામાં આવી હતી.
દાસની નિમણૂક પૂર્વ આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલના અચાનક રાજીનામા પછી કરવામાં આવી હતી. આરબીઆઇના વહીવટ અને સ્વાયત્તા મુદ્દે ઉર્જિત પટેલ અને સરકારની વચ્ચે મતભેદો સર્જાય હતાં.
ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસ(ડીએફએસ) પાસેથી આરટીઆઇ એક્ટ હેઠળ શક્તિકાંતા દાસની આરબીઆઇ ગવર્નર તરીકેની નિમણૂકની વિગતો માગવામાં આવી હતી.
આ આરટીઆઇ હેઠળ આરબીઆઇ ગવર્નરની નિમણૂક માટે સરકારે આપેલી જાહેરાત અથવા સર્ક્યુલરની નકલ, આ પદ માટે અરજી કરનારા તમામ અરજદારોના નામ અને શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોના નામ માગવામાં આવ્યા હતાં.
આ આરટીઆઇના જવાબમાં ડીએફએસએ જણાવ્યું હતું કે આરબીઆઇના ગવર્નરની પસંદગી ફાઇનાન્સિયલ સેક્ટર રેગ્યુલેટરી એપોઇમેન્ટ્સ સર્ચ કમિટી(એફએસઆરએએસસી)ની ભલામણોના આધારે કેબિનેટની પસંદગી સમિતિ કરે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U3KwA9
via Latest Gujarati News
0 Comments