હું લોકસભાની ચૂંટણી નહીં લડું, ભાજપ ઇચ્છે તેને ટિકિટ આપી શકે : સુમિત્રા મહાજન


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર

ઇન્દૌરમાંથી ટિકિટ આપવી કે નહીં ભાજપની આવી મુઝંવણ વચ્ચે આઠ વખત સાંસદ બનેલા અને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને અંતે કહી જ દીધું હતું કે મારે હવે ચૂંટણી લડવી નથી. 

પક્ષ ચાહે તેને ઇન્દૌરની ટિકિટ આપી શકે છે.ઇન્દૌરમાં પત્રકારોને માહિતી આપતા 'તાઇ' તરીકે ઓળખાતા સુમિત્રા મહાજને ભાજપના  પ્રમુખ અમીત શાહને પત્ર લખી ચૂંટણી નહીં લડવાના પોતાના નિર્ણયની જાણ કરી હતી. 'મેં ભાજપને ચિંતા મૂક્ત કરી દીધું' એમ આગામી શુક્રવારે ૭૬ વર્ષના થનારા મહાજને કહ્યું હતું.

જો કે એવી અટકળો ચાલતી હતી કે ભાજપ આ વખતે તેમને ફરીથી લોકસભાાની ચૂંટણીમાં ઊભા નહીં જ રાખે.'એવી અટકળો ચાલતી હતી એટલા માટે જ મેં નિર્ણય કર્યો હતો કે અટકળનો અંત લાવવું અને પક્ષને મારી ચિંતાથી મૂક્ત કરૃં. હવે હું લોકસભાની ચૂંટણી નહીં જ લડું'એમ તેમણે કહ્યું હતું.

'ભાજપ ઇન્દૌર લોકસભા માટે કોઇના નામની જાહેરાત કરી શકી નથી. એટલા માટે એવી અટકળો ચાલતી હતી કે ૭૫ વર્ષના કોઇને પક્ષ ટિકિટ ફાળવશે, માટે મેં આ નિર્ણય લીધો હતો. જો કે હું પક્ષ માટે સેવા આપવાનું ચાલુ જ રાખીશ'એમ તેમણે ક્હયું હતું. ઉલ્લેખનીય છે કે ભાજપ અડવાણી અને મુરલી મનોહર જોશીને પણ પોતે જ ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરવાની પરજ પાડી હતી.

સુમિત્રા મહાજન ૧૯૮૯માં પહેલી વાર ઇન્દૌરથી લોકસભામાં ચૂંટાયા હતા અને ત્યાર પછી સતત સાત વખત તેઓ ચૂંટયા હતા. અગાઉ તેઓ ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી પણ હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2U0TbOC
via Latest Gujarati News

Post a Comment

0 Comments