
નવી દિલ્હી, તા.12 મે, 2019, રવિવાર
પાકિસ્તાન પર આતંકીઓ વિરુદ્ધ કડક પગલા લેવા માટે દબાણ વધી રહ્યું છે. જેને પગલે ભીસમાં આવેલા જમાત ઉદ દાવા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠનો પર તો પ્રતિબંધ મુકી દીધો છે સાથે આ સંગઠનો સાથે અન્ય જે પણ સંગઠનો સંકળાયેલા છે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી શરૃ કરી દીધી છે.
આવા આશરે ૧૧ જેટલા સંગઠનો પર પાકિસ્તાને પ્રતિબંધ મુકી દીધો છે, આ સંગઠનો પાકિસ્તાનમાં આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને અનેક નાના મોટા હુમલામાં પણ સામેલ હોવાની માહિતી સરકારને મળી હતી તેથી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહેલા આતંકી મસૂદ અઝહર અને તેના સંગઠન જૈશ-એ-મોહમ્મદ પર સંયુક્ત રાષ્ટ્રએ પ્રતિબંધ મુકી દીધો હતો. જે બાદ પાકિસ્તાન કાર્યવાહી કરે તે માટે દબાણ કરવામાં આવ્યું હતું પરિણામે મોડા મોડા પાકિસ્તાને આ સંગઠન પર આખરે પ્રતિબંધ મુકવો પડયો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં જમાત ઉદ દાવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે તેની તપાસમાં જે અન્ય સંગઠનોના નામ સામે આવી રહ્યા છે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી શરૃ કરી દીધી છે.
શુક્રવારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને આંતરીક બાબતોના પ્રધાન ઇજાઝ શાહ વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ ૧૧ સંગઠનો પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે પુલવામા હુમલો થયો ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો હતો કે કોઇ પણ સંજોગોમાં પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદને ખતમ કરી દેવાના પ્રયાસો હાથ ધરાશે.
જે ૧૧ સંગઠનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં સાત એવા છે કે જેના પર જમાત ઉદ દાવા સાથે આતંકી પ્રવૃત્તિમાં જોડાવાનો આરોપ છે. જોકે અગાઉ પણ પાકિસ્તાન આ પ્રકારના પ્રતિબંધની કાર્યવાહી કરી ચુક્યું છે અને બાદમાં તેને હટાવી પણ લીધા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hj3UzP
via Latest Gujarati News
0 Comments