
(પીટીઆઈ) ચેન્નાઈ, તા. 3 મે, 2019, શુક્રવાર
જેટ એરવેઝના કર્મચારીઓએ ચેન્નાઈના એરપોર્ટ પાસે આવેલા પલ્લવરમ વિસ્તારમાં શાંત દેખાવો યોજીને સરકાર અને શરાફો જેટ એરવેઝને પુનર્જીવિત કરવા આગળ આવે તે માટે અપીલ કરી હતી.
નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી એરલાઈનના ગણવેશમાં સજ્જ કર્મચારીઓએ હાથમાં પ્લેકાર્ડ લઈને શાંત પ્રદર્શન યોજ્યું હતું. તેમના હાથમાં રહેલા પ્લેકાર્ડમાં 'સેવ જેટ એરવેઝ, સેવ અવર ફ્યુચર' અને અમે ખૂબ કર ચુકવીએ છીએ માટે અમારા માથે લટકતી તલવાર ન રાખશો વગેરે સૂત્રો લખેલા હતા.
કર્મચારીઓના પ્રતિનિધિ બાલાએ સરકાર અને શરાફી પેઢીઓ સહાનુભૂતિ દાખવીને જેટ એરવેઝને ફરીથી કાર્યરત કરે તેવી અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે રોકાણકારોએ પણ વિશ્વાસ રાખીને આગળ આવવું જોઈએ, અમે એરલાઈનનો બહુવિધ વિકાસ કરીને તેમને ખૂબ સારુ વળતર કમાવી આપીશું.
દેશભરમાં એરલાઈનના ૨૨,૦૦૦ કર્મચારીઓ અને તેમના પરિવાર હાલ સંકટમાં છે અને તેઓ એરલાઈનના નુકસાન પાછળના કારણો સમજવા અસમર્થ છે. છેલ્લા ચાર મહિનાથી કર્મચારીઓને પગાર પણ નથી મળ્યો અને બાળકોની શાળાની ફી ભરવાનો સમય છે માટે સૌ ખૂબ જ ચિંતામાં છે જેથી તેમને કોઈ રાહત મળે તેની જરુર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GVaFHN
via Latest Gujarati News
0 Comments