૧૯૮૪ના રમખાણો અંગે સામ પિત્રોડાએ જે કંઇ પણ કહ્યુ તે અંગે તેમને શરમ આવવી જોઇએ : રાહુલ


ચંડીગઢ, તા. ૧૩

૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો અંગે સામ પિત્રોડાએ જે કંઇ પણ કહ્યું છે તે ખોટું છે અને તેમને દેશની માફી માગવી જોઇએ તેમ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પંજાબના ફતેહગઢ સાહેબમાં આયોજિત રેલીમાં જણાવ્યું હતું. 

રાહુલ જણાવ્યું હતું કે મેં આ અંગે ફોન પર તેમની સાથે વાત કરી છે. મેં તેમને ફોન પર જણાવ્યું છે કે તમે ૧૯૮૪ અંગે જે કંઇ પણ કહ્યું છે તે બદલ તમને શરમ આવવી જોેઇએ અને તમારે દેશની માફી માગવી જોઇએ. 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 'હું આ અંગે વિચારતો નથી. આ પણ વધુ એક જૂઠ છે. ૧૯૮૪ અંગે હવે શું? તમે છેલ્લા પાંચ વર્ષમાં શું કર્યુ? ૧૯૮૪માં થયું તો થયું? તમે શું કર્યુ?'

તેમના આ નિવેદનથી કોંગ્રેસને દિલ્હી અને પંજાબમાં નુકસાન થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રાહુલે પિત્રોડાને તરત માફી માગવા જણાવ્યું હતું. હોબાળો થવાને કારણે તેમણે માફી માગી લીધી છે. 

પિત્રૌડાએ જણાવ્યું હતું કે તેમની હિન્દી ખરાબ છે. તેમણે જણાવ્યું હતું કે હું કહેવા માગતો હતો કે જે થયું તે ખરાબ થયું. હું ખરાબ થયું નું હિન્દી અનુવાદ બરાબર રીતે કરી શક્યો ન હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું હતું.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W1obmH
via Latest Gujarati News

Post a Comment

0 Comments