
અમદાવાદ, તા. 12 માર્ચ, 2020, ગુરૂવાર
કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, એ સાથે તકેદારીના પગલાંને કારણે કાબુમાં પણ આવી રહ્યો છે. હાલની સ્થિતિ પ્રમાણે તેને ફેલાતો અટકાવવો મુશ્કેલ બન્યો છે.
પરંતુ કોરોનાનો ચેપ જણાયો હોય એ પછી સાજા થયા હોય એવા દરદીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. પરિણામે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 68,670 દરદી કોરોના થયા પછી સાજા થઈ ગયા છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ જણાયા પછી ચાર દરદી રિકવર થયા છે.
જ્યાંથી કોરોનાનો ઉદ્ભવ થયો એ ચીનમાં જ 70 ટકાથી વધારે દરદી કોરોનાથી સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં ચીનમાં 80 હજારથી વધુ કોરોનાના દરદી નોંધાયા છે અને તેમાંથી 62 હજારથી વધારે સાજા થઈ ચૂક્યા છે. સામાન્ય રીતે કોરોનાનો ચેપ જણાયા પછી અમુક દિવસથી માંડીને દોઢ મહિના સુધીના સમયમાં દરદી રિકવર થઈ શકે છે.
એ પણ હકીકત છે કે કોરોનાની સારવાર શોધાઈ નથી. માટે કોરોનાગ્રસ્ત દરદી કઈ રીતે સાજા થાય છે એ એક કોયડો છે. પરંતુ ડોક્ટરોના કહેવા પ્રમાણે કોરોનાની અસર જણાય એ વખતે જ તેના વિવિધ લક્ષણોની સારવાર શરૂ કરી દેવામાં આવે તો રોગને આગળ વધતો અટકાવી શકાય છે. એ માટે સામાન્ય શરદી થઈ હોય ત્યારે કરવામાં આવતી હોય એવી સારવાર જ કરવામાં આવે છે.
કોરોનાની રસી બનાવી હોવાનો ઈઝરાયેલનો દાવો
તેલ અવીવ, તા. 12
વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાઇરસે આખી દુનિયામાં પ્રકોપ ફેલાવ્યો છે. કોરોનાથી સમગ્ર વિશ્વ ભયભીત છે તેવા સમયે ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે કોરોના વાઇરસ જેવી જીવલેણ બીમારી માટે રસી શોધી લીધી છે.
એટલું જ નહીં કહેવાય છે કે ટૂંક સમયમાં આ રસી બધા જ સંક્રમિત દેશોને મોકલવામાં આવે તેવી સંભાવના છે. અહેવાલ મુજબ ઈઝરાયેલની ઈન્સ્ટિટયૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચના વૈજ્ઞાાનિકોએ દાવો કર્યો છે કે તેમણે આ ખતરનાક બીમારીનો તોડ કાઢી લીધો છે.
કોરોનાની રસી બનાવી લેવાઈ છે અને તેને ટૂંકમાં જ સત્તાવાર માન્યતા પણ મળી જશે. બીજીબાજુ ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી નેફટાલી બિનેટનું કહેવું છે કે અમારા વૈજ્ઞાાનિકો કોરોના વાઇરસ પર સંશોધન કરીને વાઇરસનું નેચર સમજ્યા છે. સાથે જ કોરોના વાઇરસના જૈવિક તંત્ર અંગે પણ ઝિણવટપૂર્વક અભ્યાસ કરી તેની ઓળખ કરવામાં સફળતા મેળવી લીધી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cQBR9X
via Latest Gujarati News
0 Comments