નવી દિલ્હી, તા.11 માર્ચ 2020, બુધવાર
કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવા જઈ રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આઠ મહિના પહેલા જ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
આઠ મહિના પહેલા કોંગ્રેસ અને જેડીએસની સરકાર પર કર્ણાટકમાં સંકટ સર્જાયુ ત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપનો ઈરાદો લોકતંત્રની હત્યા કરવાનો છે. જ્યારે ભાજપ સીધી રીતે ચૂંટણી નથી જીતી શકતો ત્યારે પાછલા દરવાજેથી સત્તા મેળવવા માટે પ્રયત્ન કરે છે.
જોકે હવે આઠ મહિના બાદ સિંધિયા પર પોતાની સરકાર ગબડાવવાનો આરોપ લાગી રહ્યો છે. સિંધિયાની સાથે 22 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામા ધરી દીધા છે.જેના કારણે કોંગ્રેસને સત્તા ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
કેટલાક દિવસો પહેલા દિલ્હીમાં તોફાનો બદલ પણ સિંધિયાએ ભાજપ સરકાર પર નફરતની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, દિલ્હીમાં પોતાની ફરજ બજાવવમાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે.
2019માં ભાજપ લોકસભાની ચૂંટણી જીત્યુ ત્યારે પણ સિંધિયાએ મોદી સરકારની ટીકાઓ કરવાનુ ચાલુ રાખ્યુ હતુ.પુલવામા હુમલાની તપાસ પર પણ સિંધિયાએ સવાલો ઉઠાવ્યા હતા.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39ImcaH
via Latest Gujarati News
0 Comments