મુંબઇ, તા. 29 એપ્રિલ 2020, બુધવાર
ઇરફાન ખાનની તબિયત અચાનક જ બગડતા તેને મુંબઇની અંધેરીની કોકિલાબેન હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા આજે તેમનું નિધન થયું છે. હાલમાં જ તેની માતા સઇદા બેગમનું નિધન થયું છે.
ઇરફાનની માતાના નિધન વખતે ઇરફાન ભારતમાં છે કે વિદેશમાં તેની પણ કોઇ સ્પષ્ટતા નહોતી. તેના ખાસ મિત્રોએ પણ લાંબા સમયથી તેની સાથે વાતચીત ન થયાનું જણાવ્યું હતુ. તેવામાં અચાનક જ સમાચાર આવ્યા છે કે તેની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જોકે એક વાત એવી પણ છે કે ઇરફાન આ હોસ્પિટલમાં લાંબા સમયથી સારવાર લઇ રહ્યો હતો. અને હવે કોરોનાના પ્રકોપને કારણે મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઇરફાન તેની માતાની અંતિમ વિધિમાં જોડાઇ શક્યો ન હોવાથી તેણે વીડિયો કોલિંગ દ્વારા માતાના અંતિમ દર્શન કર્યા હતા.
બે વરસ પહેલા માર્ચ 2018માં ઇરફાનને પોતાની બીમારીની જાણ થઇ હતી. તેણે પોતે જ પોતાના પ્રશંસકોને આ વાતની જાણકારી આપી હતી. તેણે ટ્વિટ કરીને પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો. તેણે લખ્યું હતું કે, અચાનક જ જિંદગીમાં વળાંક આવી જાય છે જેના પ્રમાણે આગળ વધવું પડે છે. મને ન્યુરો ઇન્ડોક્રાઇન ટયૂમર નામની બીમારી છે. પરંતુ મારા આસપાસના લોકોના પ્રેમને લીધે મને આ બીમારી સામે લડવાની હિંમત આવી ગઇ છે અને હું સારવાર માટે વિદેશ જઇ રહ્યો છું અને સારી સ્ટોરી લઇને પાછો આવીશ.
54 વર્ષીય ઇરફાનનો ઇલાજ લંડનમાં થઇ રહ્યો હતો. તે સપ્ટેમ્બર 2019માં ભારત પાછો આવ્યો હતો. તે એરપોર્ટ પર વ્હિલચેરમાં બેઠો હતો તે તસવીરો પણ વાયરલ થઇ હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zyxyka
via Latest Gujarati News
0 Comments