નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2020, સોમવાર
કોરોના સંક્રમિત વ્યક્તિઓને પ્લાઝમા થેરાપીથી ઠીક કરવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે દિલ્હીના મેક્સ હૉસ્પિટલમાં 4 એપ્રિલથી સારવાર લઇ રહેલા 49 વર્ષીય દર્દી પ્લાઝમા થેરાપી બાદ સ્વસ્થ થઇ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
પ્લાઝમા થેરાપીથી સારવાર લઇને ઠીક થનાર આ દેશનો પ્રથમ દર્દી છે. મેક્સ હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું છે કે દર્દી વેન્ટિલેટર પર હતા, પરંતુ પ્લાઝમા થેરાપીથી તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો છે અને હવે તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર દર્દીને કોરોના સંક્રમણ બાદ નિમોનિયા થઇ ગયો હતો, જેના કારણે તેમને આઇસીયૂમાં રાખવા પડ્યા હતા. શ્વાસ લેવામાં મૂશ્કેલી પડવાને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના પરિવારની પરવાનગી બાદ પ્લાઝમા થેરાપીનો ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો હતો.
દિલ્હીના લોકનાયક હૉસ્પિટલમાં પણ પાંચ દર્દી પર આ થેરાપીનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. ત્રણ દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે. આઇએલબીએસ હૉસ્પિટલમાં પ્લાઝમા લીધા બાદ લોકનાયક હૉસ્પિટલમાં ભરતી દર્દીઓ પર પ્લાઝમા થેરાપીનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. પ્લાઝમા તબ્લીઘી જમાતના જ એક વ્યક્તિએ આપ્યો છે.
પ્લાઝમા થેરાપીને એન્ટી બોડી થેરાપી પણ કહેવાય છે. કોરોનાની બીમારીમાંથી સાજા થયેલા દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલા દર્દીના શરીરમાથી નીકાળીને બીમાર દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VEsMtZ
via Latest Gujarati News
0 Comments