
ભારે ઘસારાને પગલે કર્મચારીઓ બેંક બંધ કરીને ભાગી ગયા
બેંકે જમા થયેલી આ રકમના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધોે અને તપાસ શરૃ કરી
પ્રાથમિક તપાસમાં આ રકમ લઘુમતી બાબતોના વિભાગ દ્વારા જમા થઇ હોવાનું જાણવા મળ્યું
બરેલી, તા.30 માર્ચ, 2019, શનિવાર
મોરાદાબાદ શહેરથી ૩૦ કિમી દૂર આવેલા ભોજપુરમાં બેંક ઓફ બરોડાના બિઝનેસ કોરસ્પોન્ડન્ટ સેન્ટરમાં ચાલતા ૨૫૦૦ જન ધન ખાતામાં અચાનક ૧૦૭૦૦ રૃપિયા જમા થયા હતાં. આ ખાતાઓ થોડાક જ સમય પહેલા ખોલવામાં આવ્યા હતાં.
આ સમાચાર મળતા જ બેંકના અધિકારીઓમાં તંગદિલી વ્યાપી ગઇ હતી જ્યારે ખાતાધારકો મોટી સંખ્યામાં ૧૦,૭૦૦ રૃપિયા ઉપાડવા માટે બિઝનેસ સેન્ટર પહોંચી ગયા હતાં.
ભીડનું પ્રમાણ વધતા બેંકના કર્મચારીઓ બેંક બંધ કરીને ભાગી ગયા હતાં. બેંકે જમા થયેલી આ રકમના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધોે છે અને તપાસ શરૃ કરી દીધી છે. ડીએમએ પણ બેંક પાસે આ અંગેની માહિતી માગી છે.
બપોર પછી ભોજપુરના બીસી સેન્ટર સાથે જોડાયેલા જન ધન ખાતામાં ૧૦,૭૦૦ રૃપિયા જમા થયાનું જાણવા મળતા આ સમાચાર વીજળી વેગે પ્રસરી ગયા હતાં. મોટી સંખ્યામાં લોકો પોતાના ખાતાનું બેલેન્સ ચેક કરી જમા થયેલા નાણાં ઉપાડવા માટે બેંકમાં આવી ગયા હતાં.
પ્રાથમિક તપાસમાં બેંકને જાણવા મળ્યું છે કે લઘુમતી મંત્રાલય વિભાગે નેફ્ટ દ્વારા આ રકમ જમા કરાવી હતી. બેંકના મેનેજર હેમા અધિકારીએ જણાવ્યું હતું કે અમે લઘુમતી મંત્રાલયના અધિકારીઓના સંપર્કમાં છીએ અને અમે તપાસ કરી રહ્યાં છે કે આ રકમ કયા મથાળા હેઠળ જમા કરવામાં આવી છે.
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રકમ ફ્રીઝ એટલે કે બ્લોક કરી દેવામાં આવી છે. આ ઘટનાની તપાસ માટે બેંકે ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે. બેંકને શંકા છે આવા વ્યવહારો અન્ય બેંકોમાં પણ થયા હોઇ શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U3T3D3
via Latest Gujarati News
0 Comments