નવી દિલ્હી, તા.29 માર્ચ, 2019, શુક્રવાર
યુએઈ જેવી મોટી વિદેશી બજારો ખાતેથી માગમાં ઘટાડો થતાં ભારતની એપરલ નિકાસ મંદ પડવાનો ભય ઊભો થયો છે. ભારતની વિદેશી હૂંડિયામણની આવકમાં એપરલ ઉદ્યોગનો મોટો ફાળો રહે છે. વર્તમાન કેલેન્ડર વર્ષની સારી શરૂઆત કર્યા બાદ મૂલ્ય અને વોલ્યુમ બન્ને રીતે એપરલની નિકાસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, એમ એક રિપોર્ટમાં જણાવાયું છે.
દેશના ટોચના ૧૦૦ એપરલ નિકાસકારોના વેપારની કરાયેલી સમીક્ષાને આધારે આ રિપોર્ટમાં વસ્ત્રોની નિકાસનું ચિત્ર ધૂંધળું દર્શાવાયું છે. દેશન વિદેશી હૂંડિયામણ રળી આપનારા ક્ષેત્રમાં એપરલ ઉદ્યોગ બીજા ક્રમે આવે છે.
યુનાઈટેડ આરબ અમીરાત સહિતની મુખ્ય નિકાસ બજારોમાં માગમાં જોરદાર ઘટાડો નોંધાઈ રહ્યો છે, એમ નિકાસકારોએ જણાવ્યું હતું. યુએઈના ફ્રી માર્કેટ ઝોન્સમાં અનેક નવા ઉત્પાદન એકમો શરૂ થતાં ત્યાંના ઉત્પાદકો હવે ભારત ખાતેથી કાચો માલ મંગાવી રહ્યા છે અને નહીં કે ફિનિશ્ડ ગુડસ. છેલ્લા એક વર્ષથી આ સ્થિતિ જોવા મળી રહી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
યુએઈ ઉપરાંત યુરોપના દેશોમાં ભારતના તૈયાર વસ્ત્રોની જોરદાર માગ રહે છે. નિકાસમાં વધારો થવાની માત્રા કરતા આ બજારોમાં ઘટાડો થવાની માત્રા ઊંચી રહી છે. નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં એપરલ નિકાસમાં નકારાત્મક વૃદ્ધિ આગામી નાણાં વર્ષમાં પણ ચાલુ રહેવાની શકયતા વ્યકત કરાઈ રહી છે.
વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી જાન્યુઆરીના ગાળામાં દેશની એપરલ નિકાસ ૧૨.૮૯ અબજ ડોલર રહી હતી જે ગયા નાણાં વર્ષમાં ૧૬.૭૨ અબજ ડોલર રહી હતી. ભારત દ્વારા નિકાસકારોને અપાઈ રહેલા પ્રોત્સાહનો સામે અમેરિકાએ ડબલ્યુટીઓમાં નોંધાવેલી ફરિયાદને કારણે સ્થિતિ વધુ વણસી જવાનો એપરલ નિકાસકારોને ચિંતા સતાવી રહી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WqNUSe
via Latest Gujarati News
0 Comments