
ભારતના પ્રશાસને માલ્યાને રાખવાના જેલનો જે વીડિયો મોકલ્યો હતો, તેની કોટડીમાં ઘણી વધુ જગ્યા જોવા મળી: જજ
નવી દિલ્હી, તા.30 માર્ચ, 2019, શનિવાર
વિજય માલ્યા નવ હજાર કરોડ જ્યારે નિરવ મોદી ૧૪ હજાર કરોડ રૃપિયાનુ કૌભાંડ કરીને નાસી છુટયા છે. અને યોગાનું યોગ બન્ને હાલ લંડનમાં છે અને બન્નેના કેસ પણ એક જ કોર્ટમાં ચાલી રહ્યા છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ તો કોર્ટે આપી દીધો પણ હવે કોર્ટે એવા સંકેતો પણ આપ્યા છે કે નિરવ મોદીનું પ્રત્યાર્પણ પણ હવે ટંૂક સમયમાં થઇ શકે છે.
જ્યારે નિરવ મોદીની બીજી જામીન અરજી મુદ્દે કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે અચાનક વેસ્ટમિન્સ્ટર કોર્ટના જજ એમા અર્બુથનોટે વકીલને પૂછ્યું હતુ કે કદાચ નિરવ મોદીનું પણ પ્રત્યાર્પણ કરવાની અનુમતી આપવામાં આવે તો શું નિરવ મોદીને પણ એ જ જેલમાં રાખવામાં આવશે કે જ્યાં વિજય માલ્યાને રાખવાની તૈયારી કરવામાં આવી છે.
વિજય માલ્યાના પ્રત્યાર્પણને કોર્ટ અને પ્રશાસને લીલી ઝંડી આપી દીધી છે, તેથી તેને મુંબઇના આર્થર રોડ સ્થિત જેલમાં રાખવાની તૈયારી પણ ચાલી રહી છે. આ જેલમાં જે સેલમાં તેને રાખવાનો છે તેની સુરક્ષા વધારી દેવાઇ છે. આ જેલમાં સુવિધા અંગેનો એક વીડિયો પણ પ્રશાસને બ્રિટનની વેસ્ટમિન્સ્ટર કોર્ટના જજને બતાવ્યો હતો.
જેલની સુવિધા અંગે વિજય માલ્યાએ સવાલો ઉઠાવ્યા હતા તેથી આ વીડિયો મોકલવામાં આવ્યો હતો. દરમિયાન હવે નિરવ મોદીના કેસમાં પણ ફરી આ જેલ ચર્ચામાં આવી છે. જ્યારે નિરવ મોદીના કેસમાં કોર્ટમા ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોર્ટના જજે સવાલ કર્યો કે શું અમે જાણી શકીએ કે ભારતમાં ક્યા નિરવ મોદીને રાખવામા આવશે?
જવાબમાં ભારત વતી દલિલો કરી રહેલા ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (સીપીએસ)ના વકીલે જણાવ્યું હતું કે નિરવ મોદીને મુંબઇમાં લઇ જવામા આવી શકે છે. અને એ જ જેલમાં રાખવામા આવી શકે છે કે જ્યાં વિજય માલ્યાને રાખવાની તૈયારીઓ ચાલી રહી છે.
ત્યારે જજે વધુમાં ઉમેરતા પૂછ્યું હતું કે શું એ જ કોટડીમાં રાખવામાં આવશે કે જેલમાં તેવી જ બીજી કોટડી પણ છે.જ્યાં સુધી અમને જાણ કરવામાં આવી તો તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ જ કોટડીમાં પણ નિરવ મોદીને પણ રાખવા પુરતી જગ્યા છે. નિરવ મોદીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, તેની જામીન અરજીને પણ સતત બીજી વખત ફગાવી દેવામા આવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JUZbbZ
via Latest Gujarati News
0 Comments