
(પીટીઆઈ) ગોપાલગંજ, તા.30 માર્ચ, 2019, શનિવાર
બિહારના ગોપાલગંજ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શૈલેન્દ્ર કુમારની કોર્ટે એક મહિલાની હત્યાના ૧૨ વર્ષ જુના કેસમાં મૃતકના પતિને ફાંસી તથા દેરાણીને આજીવન કેદ સાથે રુ. ૫૦,૦૦૦ દંડ ફટકાર્યો છે.
દહેજ માટે કરાયેલી હત્યાના આ કેસમાં માંઝાગઢ થાણા ક્ષેત્રના દુલદુલિયા ગામના અબ્દુલ જબ્બારની પુત્રી સંજીદા ખાતૂનના લગ્ન ૨૦૦૩ની સાલમાં હરદિયા ગામના મકસૂદ આલમ ઉર્ફે વકીલ અહેમદના દીકરા નસરુદ્દીન અહેમદ ઉર્ફે લાલુ સાથે કરવામાં આવ્યા હતા.
લગ્ન બાદ સંજીદાના સાસરિયાઓએ દહેજમાં બાઈકની માંગને લઈ તેના પર ત્રાસ ગુજારવાનું શરુ કર્યું હતું. તેમ છતાં દહેજની માંગ ન સંતોષાતા ૧૭ માર્ચ, ૨૦૦૭ના રોજ સંજીદાની ઝેર આપીને હત્યા કરવામાં આવી હતી અને તેના શબને દફનાવી દેવામાં આવ્યું હતું.
આ કેસમાં મૃતકના પિતાના નિવેદનને આધારે સંજીદાના પતિ નસરુદ્દીન અહેમદ, સસરા અને દેરાણી સલામુન નેશા વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે મેજીસ્ટ્રેટની હાજરીમાં મૃતકના શબને કબરમાંથી બહાર કાઢીને તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને ફોરેન્સિક તપાસની મદદ પણ લીધી હતી. બાદમાં પોલીસે ત્રણે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ નોંધી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન મૃતકના સસરાનું નિધન થઈ ગયું હતું. આખરે આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે આરોપી એવા મૃતકના પતિ નસીરુદ્દીનને હત્યા કેસમાં દોષિ ઠેરવીને ફાંસીની સજા તથા દેરાણી સલામુન નેશાને સશ્રમ આજીવન કેદ અને રુ. ૫૦,૦૦૦ના દંડની સજા સંભળાવી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CKidvR
via Latest Gujarati News
0 Comments