મુંબઈ, તા.૧૯
ભારતીય ટીમના કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની બેંગ્લોરની ટીમ આઇપીએલ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે, જેના કારણે કોહલીની નજર હવે આગામી વર્લ્ડકપ પર મંડાયેલી છે. વર્લ્ડકપની ટીમની જાહેરાત કરતાં ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે દાવો કર્યો હતો કે, અમે ચોથા ક્રમના બેટ્સમેન તરીકે વિજય શંકરને ટીમમાં સામેલ કર્યો છે. જોકે, ભારતીય કેપ્ટન કોહલીએ આ દાવાને નકારી કાઢતાં કહ્યું કે, શંકરને ચોથા જ ક્રમે બેટીંગમાં ઉતારીશુ તેવું નક્કી નથી.
કોહલીની આ પ્રકારની કોમેન્ટ બાદ હવે એ સ્પષ્ટ બની ગયું છે કે, ભારતીય ટીમ મેનજેમેન્ટ વર્લ્ડકપમાં ચોથા ક્રમે લોકેશ રાહુલ કે દિનેશ કાર્તિકમાંથી કોઈ એકને તક આપશે. અગાઉ વિકેટકિપર બેટ્સમેન કાર્તિકે પણ એક મુલાકાતમાં સૂચક કોમેન્ટ કરતાં કહ્યું હતુ કે, હું ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકેની કે પછી ફિનિશર તરીકેની ભૂમિકા ભજવવા માટે તૈયાર છું. કેટલાક નિષ્ણાતો માને છે કે, લોકેશ રાહુલ અને દિનેશ કાર્તિક ને બદલે કેદાર જાધવને પણ ચોથા ક્રમના બેટ્સમેન તરીકે તક મળી શકે તેમ છે. જોકે કોહલી હાલ તેની વ્યુહરચનાને ગુપ્ત રાખવા ઈચ્છે છે.
એક મુલાકાતમાં કોહલીએ કહ્યું કે, અમે વર્લ્ડકપમાં જે પ્રકારની ટીમ સાથે જવા ઈચ્છતા હતા, તેવી જ ટીમ મળી છે. હવે અમે મેચ દર મેચ નક્કી કરીશું કે કયા બેટ્સમેનને કઈ પોઝિશન પર રમાડવો. કોહલીએ એમ પણ ઊમેર્યું કે, શંકર અસરકારક બોલિંગ કરી શકે છે અને તેની સાથે તે અચ્છો બેટ્સમેન તેમજ ફિલ્ડર પણ છે. કોહલીએ કબૂલ્યું કે, શંકરની હાજરીથી ટીમમાં સંતુલન આવ્યું છે. તે સારો બેટ્સમેન પણ છે.
ધોનીએ ચોથા ક્રમે બેટીંગમાં ઉતરીને ૫૬.૫૮ની સરેરાશથી રન ફટકાર્યા છે
આગામી વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમે કોને બેટીંગમાં ઉતારવો તે અંગે છેલ્લા લગભગ એક વર્ષથી ચર્ચા ચાલી રહી છે, આમ છતાં હજુ પસંદગીકારો કે ટીમ મેનેજમેન્ટ કોઈ નક્કર ઉકેલ લાવી શક્યા નથી. કોહલીએ વર્લ્ડકપની ટીમની જાહેરાતના મહિનાઓ પહેલા મીડિયામાં કહ્યું હતુ કે, રાયડુ વર્લ્ડકપમાં અમારો ચોથા ક્રમનો બેટ્સમેન રહેશે. તેણે જોરદાર ફોર્મ દેખાડતા ટીમ તરફથી ઉપયોગી બેટીંગ કરી છે. જોકે કોહલીની આવી કોમેન્ટ બાદ જ રાયડુનું ફોર્મ કથળ્યું હતુ અને તેને વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળી શક્યું નથી.
હવે ચોથા ક્રમના બેટ્સમેન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના નામની ચર્ચા ચાલી રહી છે. ધોનીએ ચોથા ક્રમે બેટીંગમાં ઉતરીને ૩૦ ઈનિંગમાં ૫૬.૫૮ની સરેરાશથી ૧,૩૫૮ રન ફટકાર્યા છે, જેમાં ૧ સદી અને ૧૨ અડધી સદી સામેલ છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં સતત ત્રણ મેચમાં અડધી સદી ફટકારી હતી. જોકે કેપ્ટન કોહલીનો આગ્રહ એવો રહ્યો છે કે, ધોની પાંચમા ક્રમે જ બેટીંગમાં ઉતરે. આ કારણે પ્રતિભાનું પ્રમાણ આપવા છતાં તેને ચોથા ક્રમે બેટીંગમાં ઉતરવાની તક મળશે નહિ તેમ લાગી રહ્યું છે. અલબત્ત ટીમનો વાઈસ કેપ્ટન રોહિત શર્મા માને છે કે, ભારતે ટીમ ઈન્ડિયાના સૌથી સિનિયર ખેલાડી ધોનીને જ ચોથા ક્રમે બેટીંગમાં ઉતારવો જોઈએ.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GwIQXe
via Latest Gujarati News
0 Comments