શ્રીલંકામાં બ્લાસ્ટ, શંકાની સોય આ મુસ્લિમ સંગઠન તરફ ચીંધાઈ


નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2019, રવિવાર

ચર્ચ અને હોટલમાં થયેલા બ્લાસ્ટથી શ્રીલંકા હચમચી ગયુ છે ત્યારે આ ધડાકા બદલ શ્રીલંકાનુ એક મુસ્લિમ સંગઠન શંકાના દાયરામાં આવ્યુ છે. કોલંબોના ચર્ચ સેન્ટ એન્થની, પશ્ચિમના શહેર નેગેંબોના સેંટ સબાસ્ટિયન ચર્ચ અને બટ્ટિકલોવા શહેરના એક ચર્ચમાં તેમજ બીજા ત્રણ વિસ્ફોટ ફાઈવ સ્ટાર હોટલો શંગરીલા, ધ સિનેમોન ગ્રાન્ડ અને ધ કિંગ્સબરીમાં થયા હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે 10 દિવસ પહેલા જ શ્રીલંકાના પોલીસ પ્રમુખને ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આત્મઘાતી હુમલાખોરો દેશના પ્રમુખ ચર્ચોને ટાર્ગેટ કરી શકે છે તેવા ઈનપુટ આપ્યા હતા.એ પછી પોલીસ પ્રમુખ પુજુથ જયસુંદરે ટોચના પોલીસ અધિકારીઓને પણ આ અંગે વાકેફ કર્યા હતા.

આ એલર્ટમાં નેશનલ તોહિત જમાત નામના મુસ્લિમ સંગઠનનો ઉલ્લેખ કરાયો હતો.તેના નિશાના પર કોલંબો સ્થિત ભારતીય એમ્બેસી પણ હોવાનુ કહેવાયુ હતુ. એનટીજે નામનુ આ સંગઠન કટ્ટરપંથી સંગઠન છે.ગયા વર્ષે પણ આ સંગઠને કેટલાક બૌધ્ધ ધર્મસ્થળો પર હુમલા કર્યા હતા.

જોકે હજી સુધી કોઈ સંગઠને આ ધડાકાની જવાબદારી લીધી નથી.શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે.જેમાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેનાએ કહ્યુ હતુ કે, હું આ ઘટનાથી આઘાતમાં છું.તમામ જરુરી કાર્યવાહીના નિર્દેશ અપાયા છે.આ દુર્ગઠના અંગે બહુ જલ્દી સરકાર સત્તાવાર નિવેદન બહાર પાડશે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vcF2E9
via Latest Gujarati News

Post a Comment

0 Comments