
મુંબઇ, તા. 15 એપ્રિલ 2019, સોમવાર
મહારાષ્ટ્રમાં છેલ્લાં પાંચ વર્ષમાં કિન્નર (તૃતીયપંથી) મતદારોની સંખ્યા વધીને બમણી થઈ છે. ૨૦૧૪ની લોકભાની ચૂંટણી વખતે રાજ્યમાં માત્ર ૯૧૮ કિન્નર મતદાતા હતા અને મતદાર તરીકેની તેમની નોંધણી 'અન્યો' (નહી ંપુરુષ કે નહીં મહિલા)ની શ્રેણીમાં કરાયેલી હતી.
પરંતુ ચૂંટણી પંચે જારી કરેલી છેલ્લામાં છેલ્લી મતદાર યાદી મુજબ આ મતદારોની સંખ્યા વધીને હવે ૨,૦૮૬ની થઈ છે. આમ છતાં કિન્નર સમાજને લાગે છે કે તેમની ૪૦ હજારની વસતિ સંખ્યા જોતાં કિન્નર મતદાતાઓની સંખ્યા વધવાનો પૂરેપૂરો અવકાશ છે.
ચૂંટણી પંચે જારી કરેલી માહિતી મુજબ લોકસભાની ગઈ ચૂંટણી સુધી 'અન્યો'ની શ્રેણીમાં નોંધાયેલા ૯૧૮ કિન્નર મતદારો હતા. બાદમાં ૨૦૧૪માં સર્વોચ્ચ અદાલતના એક આદેશ મુજબ આ શ્રેણીનું નામ બદલી 'ટ્રાન્સજેન્ડર' (વિપરીતલિંગી- તૃતીયપંથી) કરવામાં આવ્યું હતું.
સૌથી વધુ ૩૨૪ કિન્નર મતદારો મુંબઈ નોર્થ મતવિસ્તારમાં નોંધાયેલા છે. જ્યારે સૌથી ઓછા મતદારો ભંડારા, ગોંદિયા અને રાયગઢ (પ્રત્યેકમાં એક) નોંધાયેલા છે.
વિવિધ સ્થળોએ વિવિધ નીતિઓ છે. કેટલીક જગ્યાઓએ ટ્રાન્સજેન્ડર મતદાતા તરીકેની નોંધણી માટે મેડિકલ સર્ટિફિકેટ જરૂરી છે. અન્ય કેટલાંક સ્થળે આવા કોઈ સર્ટિફિકેટની જરૂર પડતી નથી. આમ ખરેખર શી પ્રક્રિયા છે તે સ્પષ્ટ નથી એમ 'લાબિઆ' ગુ્રપની સભ્ય ચયનિકા શાહે કહ્યું હતું.
કિન્નર અધિકારો માટેના કાર્યકર્તા લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું હતું કે આ પ્રક્રિયા મંદ અને સ્થિર દોડસ્પર્ધા જેવી છે. મોટાભાગના રાજકીય પક્ષો કિન્નર સમાજને સ્વીકૃતિ આપે છે. ૨૦૧૪ના આધાર રજિસ્ટ્રેશન મુજબ ૪૦ હજાર કિન્નરો છે. આ જોતાં બે હજાર મતદાતા ઘણા ઓછા કહેવાય. મતદાતા તરીકે કિન્નરોની નોંધણી માટેના ચૂંટણી પંચના પ્રયાસોની અમે પ્રશંસા કરીએ છીએ. આમ છતાં અમારે ઘણી લાંબી મજલ કાપવાની છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZdbjbX
via Latest Gujarati News
0 Comments