
બૅન્કના નાણાં લઈને ન ભરવા જાણે ક્રેડિટ બની ગઈ છે. ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં બૅન્કોની એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સમાં રૂા. ૫ લાખ કરોડનો વધારો થયો છે. તેમ જ ૨૦૧૬-૧૭ના નાણાંકીય વર્ષમાં રૂા. ૩,૨૭,૫૦૦ કરોડની એનપીએ થઈ હતી. ૨૦૧૫-૧૬ના વર્ષમાં એનપીએનું પ્રમાણ રૂા. ૩,૮૫,૯૬૨ કરોડનું હતું.
૨૦૧૪-૧૫ના નાણાંકીય વર્ષમાં રૂા. ૧,૯૨,૦૩૪ કરોડનું એનપીએ થયું હતું. આ ચાર જ વર્ષમાં બૅન્કનું એનપીએ ૧૪.૫૪ લાખ કરોડનું થયું છે. ભારતના અર્થતંત્રમાં રૂા.૨૦ લાખ કરોડની ચલણી નોટ્સ ફરી રહી છે. આમ અર્થતંત્રમાં ફરતાં કુલ ચલણના ૭૫ ટકા જેટલી રકમનું એનપીએ માત્ર ૪ જ વર્ષમાં થયું છે.
આ એનપીએની બૅન્કો પર અસર ન પડે તે માટે બૅન્કોએ તેમના નફામાંથી રૂા. ૭,૩૯,૯૫૧ કરોડની જોગવાઈ કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો જે તે બૅન્કના શેર્સમાં રોકાણ કરીને તેના શેર્સના મૂલ્યવૃદ્ધિનો લાભ મેળવવાના ગણિતો સાથે મૂડીરોકાણ કરનારા શેરહોલ્ડર્સને તેનો સૌથી મોટો ફટકો પડયો છે. કારણ કે તેમના રોકાણનું જોઈએ તેવું એપ્રિશિયેશન થયું નથી.
એનપીએ વધતાં બૅન્કોનો નફો બૅન્કની એનપીએ સામે એડજસ્ટ કરવા માટે વાપરી નાખવામાં આવ્યો હોવાથી શેરહોલ્ડર્સને લાભ મળ્યો જ નથી. ૨૦૧૪માં એનપીએ સામે રૂા. ૬૩,૩૮૯ કરોડનો નફો એડજસ્ટ કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં એડજસ્ટમેન્ટની આ રકમ રૂા. ૭૬,૮૩૭ કરોડની થઈ છે. ૨૦૧૬માં બૅન્કોના નફામાંથી રૂા. ૧,૬૦,૩૦૩ કરોડ, ૨૦૧૭માં ૧,૬૮,૪૬૯ કરોડ અને ૨૦૧૮માં ૨,૭૦,૯૫૩ કરોડ એનપીએ સામે પ્રોવિઝન કરવામાં વપરાઈ છે.
આ સ્થિતિમાં રાષ્ટ્રીયકૃત બૅન્કોને કે ખાનગી બૅન્કોના અબજો ડૂબાડનારાઓને જેલમાં મોકલવા જોઈએ તેવી સામાન્ય લાગણી અને માગણી છે. પરંતુ વાસ્તવમાં તેવું થયું નથી. ડિસેમ્બર ૨૦૧૮માં પૂરા થયેલા ૯ માસના ગાળામાં જ બૅન્કોએ ડિફોલ્ટર્સના રૂા. ૧,૫૬,૭૦૨ કરોડ માફ કરી દીધા છે. છેલ્લા દસ વર્ષમાં આ રીતે માફ કરાયેલી રકમ રૂા. ૭ લાખ કરોડની છે.
તેમાંથી ૮૦ ટકા એટલેકે રૂા.૫.૬૦ લાખ કરોડ કેન્દ્રની ભાજપના શાસનકાળમાં માફ કરવામાં આવ્યા છે, એમ રિઝર્વ બૅન્કે એપ્રિલમાં ૨૦૧૯માં જાહેર કરેલા આંકડાઓમાં જણાવ્યું છે. રાજકીય નિકટતા ધરાવનારાઓને લોન માફી કરવાનું વલણ વધી રહ્યું છે. આ એક પ્રકારની બૅન્ક લૂંટ જ છે. આ બૅન્ક લૂંટ કરનારાઓના નામ તો બૅન્ક કે પછી કેન્દ્ર સરકારનું નાણાં ખાતું જાહેર કરવા તૈયાર નથી. તેનુંય કારણ છે.
રાષ્ટ્રીયકૃત બૅન્કોમાંથી મોટી મોટી લોન લેનારાઓની લોન મંજૂર કરવા માટેનું દબાણ પણ રાજકીય નેતાઓ જ કરતાં હોય છે. તેમાંથી કમિશન પેટે નેતાઓ મોટી રકમ મેળવી લેતા હોય છે. તેથી લોન લેનારાઓને પણ ખબર છે કે તેઓ લોન પરત નહિ ભરે તો તેમના નામની ભલામણ કરનારા રાજકારણીઓજ તેમનો વાળ વાંકો થવા દેવાના નથી.
આમ બૅન્કના ચીફ મૅનેજિંગ ડિરેક્ટર્સ કે ચૅરમેન પર જંગી રમકની લોન મંજૂર કરનારા રાજકારણીઓની લેખિત મંજૂરી લેવાની આદત બૅન્કર્સ કેળવશે તો બૅન્કને લૂંટનારાઓની આખી ટોળકી ઉઘાડી પડી જશે અને બૅન્કના નાણાં ફસાવાની શક્યતા ઓછી થઈ જશે. થઈ જશે.
તેમ જ બૅન્ક ડિફોલ્ટર્સની લોન મંજૂર કરનાર અધિકારી અને તેની લોન માટે ભલામણ કરનાર રાજકારણીના નામ પણ ડિફોલ્ટર્સના નામ સાથે જાહેર કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણી નું પાણી થઈ જશે અને લૂંટ કરનારાઓની આખી ટોળખી પકડાઈ જશે.
બૅન્ક ડિફોલ્ટર્સમાં જતીન મહેતા, નિરવ મોદી, વિજય માલ્યા, મેહૂલ ચોકસી જેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તેમણે હજીય બૅન્કના નાણાં ચૂકવ્યા નથી. ચૂંટણી પૂર્વે ડિફોલ્ટર્સને જેલ ભેગા કરી દેવાના હાકલાંપડકારા કરીને વિદેશ ભાગી ગયેલાઓને દેશમાં પરત લાવીના જેલમાં ધકેલી દેવાના બણગા રાજકીય ભાષણોમાં ફૂંકવામાં આવી રહ્યા છે.
પરંતુ ચૂંટણીના પરિણામો આવી ગયા પછી, 'તેરા તેલ ગયા અને મેરા ખેલ હૂઆ'નો ઘાટ થવાની પૂરેપૂરી સંભાવના છે. આજે તેમના નામે હાકલાં પડકારા કરનારાઓ ગોલાલડાઈ કરી રહ્યા છે. ચૂંટણીના પરિણામ આવી ગયા પછી તેમને પડખે બેસી જતાં તેમને વાર નહિ લાગે. કારણ કે તેમાંના જ ઘણાં રાજકીય પક્ષોને ડોનેશન આપનારા હોવાની સંભાવના છે. આથી જ રાજકીય પક્ષોને ડોનેશન આપનારાઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
ડિફોલ્ટર્સ અને રાજકીય પક્ષને ડોનેશન આપનારાઓના નામ જાહેર થવા જ જોઈએ. બીજું, થાપણદારોને આ પરિસ્થિતિમાં રક્ષણ આપવા માટે સૌથી મોટી જરૂરિયાત વીમા સુરક્ષિત રકમ રૂા. ૧ લાખથી વધારીને રૂા.૧૦ લાખ કરવાનો સમય આવી ગયો છે. તેમ નહિ કરવામાં આવે તો આખી જિંદગીની બચતના વ્યાજની આવક પર નિવૃત્તિ પછીનું જીવન ગુજારી રહેલા લાખો લોકોની થાપણો ચવાઈ જવાની અને તેઓ કંગાળ થઈ જાય તેવીે સંભાવના છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GDH5qj
via Latest Gujarati News
0 Comments