
- હેમંત કરકરેને અમે શહીદનું સન્માન જ આપીએ છીએ, સાધ્વી પ્રજ્ઞાાના નિવેદન સાથે પક્ષ સહમત નથી ઃ ઘેરાયેલા ભાજપની સ્પષ્ટતા
ભોપાલ, તા,19 એપ્રિલ 2019, શુક્રવાર
ભોપાલ લોકસભાની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર બનેલા સાધ્વી પ્રજ્ઞાાએ મુંબઈ હુમલાના શહીદ હેમંત કરકરે અંગે નિવેદન આપ્યું તે પછી ભારે વિવાદ શરૂ થયો હતો. સાધ્વી પ્રજ્ઞાાએ કહ્યું હતું કે હેમંત કરકરેને મારો શ્રાપ લાગ્યો હોવાથી તેનું મૃત્યુ થયું હતું.
ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાાએ મુંબઈના શહીદ આઈપીએસ અધિકારી હેમંત કરકરે અંગે નિવેદનમાં આપતા કહ્યું હતું ઃ 'માલેગાંવ વિસ્ફોટ પછી મને મુંબઈની જેલમાં બંધ રાખવામાં આવી હતી. તે વખતે હેમંત કરકરેએ મારી પૂછપરછ કરી હતી અનેમને કહ્યું હતું કે જો પુરાવા નહીં મળે તો હું ગમે તેમ કરીને પુરાવા મેળવીશ. તપાસ અધિકારીએ કરકરેને મને છોડવાનું કહ્યું હતું, તેમ છતાં કરકરેએ મારી પૂછપરછ કરી હતી.'
સાધ્વી પ્રજ્ઞાાએ કહ્યું: 'તે એની કુટિલતા હતી. એ કરકરેનો દેશદ્રોહ હતો, એ ધર્મવિરૂદ્ધનું કૃત્ય હતું. તે પછી મેં એને શ્રાપ આપ્યો હતો કે તારું સર્વનાશ થશે. જે દિવસે હું ત્યાં ગઈ ત્યારે તેને ત્યાં સૂતક ચાલતું હતું અને જે દિવસે આતંકવાદીઓએ કરકરેને ઠાર કર્યો તે દિવસે સૂતક પૂરું થયું' સાધ્વી પ્રજ્ઞાાએ દાવો કર્યો કે કરકરેનું મૃત્યુ તેના શ્રાપથી થયું હતું.
ભોપાલની બેઠકમાં સાધ્વી પ્રજ્ઞાાના હરિફ ઉમેદવાર કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે આ નિવેદન પછી કહ્યું હતું કે હેમંત કરકરે હિંમતવાન, પ્રામાણિક અને સમર્પિત અધિકારી હતા. દેશની સુરક્ષા માટે જીવન સમર્પિત કરી દેનારા શહીદ અધિકારી વિશે સાધ્વી પ્રજ્ઞાાની ટીપ્પણી ખૂબ જ શરમજનક છે.
વિવાદ પછી ભાજપે પણ સાધ્વી પ્રજ્ઞાાના નિવેદનથી અંતર રાખીને કહ્યું હતું કે ભાજપ હંમેશા હેમંત કરકરેને એક બહાદુર અધિકારી અને વીર શહીદ માને છે. સાધ્વીનું નિવેદન તેમનું અંગત મંતવ્ય છે અને પક્ષ તેની સાથે સહમત નથી.
કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ મોદીને સંબોધીને કહ્યું હતું કે 'મોદીજી, માત્ર ભાજપવાળા જ શહીદોને દેશદ્રોહી ઘોષિત કરવાનું કૃત્ય કરી શકે. આ દેશના તમામ સૈનિકો, શહીદોનું અપમાન છે. આતંકવાદ સામે લડતા તમામ જવાનોનું ભાજપે અપમાન કર્યું છે. તમે દેશની માફી માગો અને તુરંત સાધ્વી પ્રજ્ઞાા વિરૂદ્ધ કાર્યવાહી કરો'
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને કહ્યું હતું, 'ભાજપે તેનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. ભોપાલના ભાજપના ઉમેદવારની આ ટીપ્પણી ખૂબ જ નિંદનીય છે. ભાજપને તેની જગ્યા બતાવી દેવાની જરૂર છે.
ભારે વિવાદ પછી અને ચોમેરથી ઘેરાયા પછી આખરે સાધ્વી પ્રજ્ઞાાએ બચાવ કરતા કહ્યું હતું ઃ 'જો મારા નિવેદનથી વિરોધીઓ મજબૂત થતાં હોય તો પછી હું મારું નિવેદન પાછું ખેંચવા તૈયાર છું'. ભાજપે સાધ્વીના નિવેદન પછી અંતર કર્યું એટલે પક્ષનો બચાવ કરતા સાધ્વીએ ઉમેર્યું, 'આ મારું વ્યક્તિગત નિવદન હતું. કારણ કે મેં જે સહન કર્યું હતું એ જ મેં કહ્યું હતું. તેમાં પક્ષની વિચારધારાનો પડઘો ન હતો.
'જેલમાં તો અમે ય ગયા હતા, પરંતુ પ્રજ્ઞાાએ માર્કેટિંગ કરીને ટિકિટ મેળવી'
માલેગાંવ કેસમાં સાધ્વી પ્રજ્ઞાાની સાથે જેલવાસ ભોગવનારા આરોપી સુધાકરે આક્રોશ ઠાલવ્યો
માલેગાંવ કેસમાં સાધ્વી પ્રજ્ઞાાની સાથે જ જેલવાસ ભોગવનારા આરોપી સુધાકરે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે માલેગાંવ કેસમાં જેલમાં તો અમે ય રહ્યા હતા, પણ સાધ્વી પ્રજ્ઞાાએ માર્કેટિંગ કરીને ટિકિટ મેળવી લીધી છે.
હિંદુ મહાસભાની ટિકિટ ઉપર મિર્ઝાપુરમાં કેન્દ્રિય મંત્રી અનુપ્રિયા પટેલ સામે ચૂંટણી લડી રહેલા સુધાકર ચર્તુવેદીએ માલેગાંવ કેસ બાબતે સાધ્વી પ્રજ્ઞાા અને ભાજપની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે એ કેસમાં સાધ્વી એકલાં જેલમાં નહોતા ગયા, હું અને એવા બીજા ય જેલમાં હતા, પરંતુ સાધ્વીએ માર્કેટિંગ કરીને તેમ જ ઠાકુર રાજપુત સમાજનું પીઠબળ મેળવીને મોટું કદ બનાવ્યું છે, જ્યારે મારા જેવા અન્ય કોઈની ભાજપે ખબર સુદ્ધાં પૂછી નથી.
ભાજપ માટે કામ કરવાના સંદર્ભમાં સુધાકરે કહ્યું હતું કે ભાજપને હવે તેની કોઈ જ ગરજ નથી. હું સંઘનો પ્રચારક હતો અને ભાજપ મને પચાવી નહીં શકે. ઉલ્લેખનીય છે કે માલેગાંવ કેસમાં ૧૪ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થઈ હતી. ચાર્જશીટ પ્રમાણે અભિનવ ભારત નામના સંગઠને હુમલો કર્યો હતો.
એવો દાવો થયો હતો. સાધ્વી પ્રજ્ઞાા અને સુધાકર જેવા આરોપીઓ અત્યારે જામીન ઉપર મુક્ત થયા છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PkVgUR
via Latest Gujarati News
0 Comments