
નવી દિલ્હી, તા.13 એપ્રિલ, 2019, શનિવાર
એક બાજુ પગાર ચૂકવવાના નાણાં નથી, ૨૦ હજાર કરોડનું દેવું હોવા છતાં નરેશ ગોયલે જેટ એરવેઝમાં હિસ્સો ખરીદવા માટે બિડ કરી છે. જેટ એરવેઝમાં હિસ્સો ખરીદવા માટેની બોલી જમા કરાવવાની અંતિમ તારીખે તેના પૂર્વ પ્રમોટર નરેશ ગોયલ પણ બિડ જમા કરાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી પાંચ બોલી જમા થઇ છે. ઉલ્લેખનીય છે કે નરેશ ગોયલે ગયા મહિનામાં ૮૦૦૦ કરોડ રૃપિયાનું દેવું ધરાવતી જેટ એરવેઝના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું.
બેન્કો અને સરકાર દ્વારા જેટ એરવેઝના નરેશ ગોએલની એટલી આળપંપાળ કરાય છે કે બેન્કો ૮૦૦૦ કરોડ અને ૧૨૦૦૦ કરોડ જેવી રકમ ડુબી જવા છતાં જેને દેવાળું કાઢ્યું છે તેવી વ્યક્તિને bidમાં ઉભા રહેવાની મંજુરી અપાઇ રહી છે. ભારતમાં આવા ભાગેડુ ઉદ્યોગપતિઓ બેન્કોના નાણાનું ઉઠમણું કરે છે અને કમ્પની ફડચામાં લઇ જઇ હરાજીમાં 1/3 કિંમતે ખરીદી અને બેન્કોના પૈસા ડુબી જાય છે.
જેટ એરવેઝમાં હિસ્સેદારી ખરીદવા માટે એસબીઆઇ કેપિટલે બોલી જમા કરાવવાની અંતિમ તારીખ ૧૦ એપ્રિલથી વધારી ૧૨ એપ્રિલ કરી હતી. અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે નરેશ ગોયલે એકલા અથવા કોઇની સાથે ભાગીદારીમાં આ બિડ જમા કરાવી છે તે જાણી શકાયું નથી.
ગોયલના આ નિર્ણયથી જેટ એરવેઝને લોન આપનારા ધિરાણકર્તાઓને આશ્ચર્ય થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એતિહાદ એરલાઇન્સ જેટ એરવેઝમાં પોતાનો હિસ્સો ૨૫ ટકાથી વધારવા માગતી નથી.
ગઇકાલે ઉડ્ડયન સચિવ પી એસ ખારોલાએ જણાવ્યું હતું કે જેટ એરવેઝ શનિવાર અને રવિવારે ફક્ત ૬ થી સાત ફલાઇટ ઉડાવશે. તેમણે જણાવ્યું હતું કે એરલાઇન્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે વર્તમાન સ્થિતિમાં યાત્રીઓ હેરાન ન થાય તે વાતનું ધ્યાન રાખવામાં આવે.
ખારોલાએ વધુમાં જણાવ્યું છે કે ફલાઇટ રદ થવાની જાણ પેસેન્જરોને ૪૮ કલાક પહેલા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. એરલાઇન્સે સોમવાર સુધી ઇન્ટરનેશનલ ઓપરેશન બંધ કર્યાની જાહેરાત કરી હતી.
એરલાઇન્સની સ્થિતિ વધુ કથળતા વડાપ્રધાન કાર્યાલયે તાત્કાલિક બેઠક બોલાવી હતી આ બેઠકનું નેતૃત્ત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપાલ સચિવે કર્યુ હતું. નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ જેટ એરવેઝ સાથે સંકળાયેલા મુદ્દાઓની સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા પછી આ બેઠકની જાહેરાત કરવામાં આવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KARBUp
via Latest Gujarati News
0 Comments