શ્રીલંકામાં હિંસા વકરી, એકનું મોત અનેક ભાગોમાં કરફ્યુ, 22ની ધરપકડ


(પીટીઆઇ) કોલંબો, તા.14 મે, 2019, મંગળવાર

સિંહાલી ટોળાએ મુસ્લિમ માલિકોની દુકાનો,મકાનો અને કેટલાક મસ્જિદોને આગ ચાંપતાં તેમજ કોમી હિંસા ફાટી નીકળતાં  એક વ્યક્તિના મોત પછી શ્રીલંકાની સરકારે આજે આખા દેશમાં કર્ફ્યુ લાદી દીધો હતો.

સોમવારે સરકારે આખા ટાપુમાં કર્ફ્યુ લાદ્યો હતો, પરંતુ મંગળવારે પણ હિંસા ફાટી નીકળતાં ઉત્તરપૂર્વ પ્રાંત સિવાયના વિસ્તારમાં કર્ફ્યુને હળવો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં એક મુસ્લિમની  તલવાર મારી  હત્યા કરવામાં આવી હતી તેમજ સિંહાલી ટોળાએ હથીયારો સાથે રસ્તાઓ પર તોફાન મચાવ્યો હતો.

મંગળવારે સાંજે, હિંસા રોકવાના ઉદ્દેશથી પોલીસે ફરીથી આખા દેશમાં કર્ફ્યું નાંખી દીધો હતો. ' આજ રાતના નવ વાગ્યાથી આખા દેશમાં કર્ફ્યુ નાંખવામાં આવશે જે આવતી કાલે સવારે ચાર વાગ્યા સુધી અમલી રહેશે'એમ પોલીસ પ્રવકતા રૃવાન ગુણશેખરે કહ્યું હતું.

હિંસક ઘટનાઓ પછી સરકારે વોટ્સઅપ પર ફરીથી પ્રતિબંધ લાદ્યો હતો. અગાઉ ફેસબુક અને વોટ્સઅપ પર પ્રતિબંધ લાદ્યા પછી આજે ટ્વિટરને પણ બ્લોક કર્યો હતો.રાજ્યોમાં અફવાઓ ના ફેલાય એટલા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લદાયો હતો.

પોલીસે કહ્યું હતું કે તેમણે ટોળાને ઉશ્કેરનાર બે જણાને અને તેમની સાથે અન્ય ૨૦ જણાને  ઝડપી પાડયા હતા.'તોફાનીઓ સામે પોલીસ સખ્ત પગલાં ભરશે. તેમને જામીન નહીં અપાય અને ઓછામાં ઓછી દસ વર્ષની જેલની સજા થશે'એમ પોલીસ વડા ચંદના વિક્રમારત્ને એ કહ્યું હતું.

મુસ્લિમોએ કહ્યું હતું કે સિંહાલી ટોળા દ્વારા તેમની મિલકતો અને મસ્જિદોને આગ ચાંપવામાં આવી રહી હતી. તેમણે પોલીસને તોફાની પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર ગણાવ્યા હતા. જ્યારે ટોળા દુકાનોને આગ ચાંપી રહ્યા હતા ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની ગઇ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

મુસ્લિમ રાજકીય પક્ષોએ કહ્યું હતું કે તોફાનોમાં એક મુસ્લિમનું મોત થયું હતું. શ્રીલંકાના પ્રમુખ વિક્રમસિંઘેએ કહ્યું હતું કે અમે પોલીસને તોફાનીઓને પકડવા આદેશ આપ્યો હતો. મુસ્લિમ વિરોધી ટોળાને પકડવાનો પણ આદેશ આપ્યો હતો. મુખ્ય વિરોધ પક્ષના નેતા મહીંડા રાજપાકસેએ તોફાનો પર નિયંત્રણ નહીં કરવા બદલ સરકારની ટીકા કરી હતી.

ભારતે એલટીટીઇ પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ સુધી લંબાવ્યો

(પીટીઆઇ) નવી દિલ્હી,તા.૧૪

ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરનાર આતંકી જુથ લિબરેશન ટાઇગર્સ ઓફ તામિલ ઇલમ- એલટીટીઇ- પરનો પ્રતિબંધ સરકારે વધુ પાંચ વર્ષ સુધી લંબાવ્યો હતો. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક જાહેરનામા અનુસાર, આ આતંકી જુથને અનલોફુલ ઓક્ટીવીટીઝ (પ્રિવેન્શન) એક્ટ ૧૯૬૭ હેઠળ  બંધ કરવામાં આવ્યો હતો.  ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા કર્યાના પગલે ભારત સરકારે મૂક્તિ  વ્યાઘ્રો પર પ્રતિબંધ લાદ્યો હતો. એલટીટીઇ શ્રીલંકાસ્થિત આતંકી સંગઠન હતું પરંતુ ભારતમાં પણ તેના ટેકેદારો ધણા હોવાનું મનાય છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EalDIV
via Latest Gujarati News

Post a Comment

0 Comments