વૉટ્સએપ દ્વારા ફોનમાં વાઈરસની ઘૂસણખોરી : અપડેટ કરવા સલાહ


ફેસબૂકની વધુ એક બેદરકારી સામે આવી

સાન ફ્રાન્સિસ્કો, તા.14 મે, 2019, મંગળવાર

દુનિયામાં ૧.૫ અબજથી વધારે લોકો વાપરે છે એ મેસેન્જર એપ વૉટ્સએપમાં વાઈરસે ઘૂસણખોરી કરી છે. વૉટ્સએપની માલિકી ધરાવતી કંપની ફેસબૂકે જણાવ્યુ હતું કે તેમની મેસેજિંગ એપ્લિકેશનમાં એક જાસૂસી વાઈરસ (સ્પાયવેર)નો પ્રવેશ થયો છે.

માટે વૉટ્સએપના વપરાશકારોને સૌથી પહેલા તો વૉટ્સએપ અપડેટ કરવાની સૂચના આપી રાખી છે. જે વપરાશકારો વૉટ્સએપ અપડેટ કરી દેશે, તેઓ આ વાઈરસના હુમલાથી મુક્ત મુક્ત રહી શકશે, એવો ફેસબૂકનો દાવો છે. થોડા દિવસ પહેલા આ વાઈરસ દેખાયો હતો, જે રવિવાર સુધીમાં દૂર કરી દેવાયો છે.

ઈઝરાયેલની એક ડિફેન્સ કંપની દ્વારા જાસૂસી માટે આ વાઈરસ બનાવાયો છે. તેનું કામ લોકોના ફોનમાં ઘૂસી જઈ, ફોનમાં રહેલી માહિતીની ચોરી (જાસૂસી) કરવાનું છે. આ વાઈરસ ફોનમાં એન્ટર થવા માટે વૉટ્સએપ કોલનો સહારો લેતો હતો. એટલે કે વૉટ્સએપ પર ફોન આવે ત્યારે વાઈરસ ફોનમાં ઘૂસી જતો હતો. કોઈ વ્યક્તિ ફોન ન ઉપાડે તો પણ આ વાઈરસ પોતાનો રસ્તો કરી ફોનમાં જગ્યા બનાવી લેતો હતો.

અલબત્ત, જેમણે રવિવાર પછી વૉટ્સએપની એપ્લિકેશન અપડેટ કરી હશે, તેમના ફોનમાંથી આ વાઈરસ દૂર થઈ ગયો હશે. બાકીના વપરાશકારો તૂરંત વૉટ્સએપ અપડેટ કરે એવી ફેસબૂકની સલાહ છે. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ, માય એપ્સ એન્ડ ગેમ્સમાં જઈને વૉટ્સએપ (કે અન્ય કોઈ પણ એપ) અપડેટ કરી શકાય છે.

આ વાઈરસ તો ખાસ માનવાધિકાર કાર્યકરો અને તેની સાથે સંકળાયેલા વકીલો માટે બનાવાયો છે. માટે એ લોકોને જ વધુ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. પરંતુ બીજા લોકોના ફોનમાં પણ વાઈરસે પ્રવેશ કર્યો હોય એવુ બની શકે. વૉટ્સએપ દ્વારા કેટલા લોકોને વાઈરસે અસર કરી તેની વિગત આપવામાં નથી આવી. માટે શક્ય છે કે અસર થઈ હોય એવા લોકોનો આંકડો મોટો પણ હોય. 

ફેસબૂકે સ્વિકાર્યું હતું કે તેમની સુરક્ષામાં ખામી રહી જવાથી આ ગરબડ સર્જાઈ હતી. ખામી જોકે રવિવારે દૂર કરી દેવાઈ હતી. છેલ્લા દોઢ-બે વર્ષથી વપરાશકર્તાઓની માહિતી (ડેટા)ના મામલે ફેસબૂકની બેદરકારી વારંવાર સામે આવી રહી છે. એ બેદરકારીમાં એ એક વધુ કિસ્સો ઉમેરાયો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E9jNYy
via Latest Gujarati News

Post a Comment

0 Comments