50 લાખ ટનના ટાર્ગેટ સામે વર્તમાન માર્કેટિંગ વર્ષમાં 21.29 લાખ ટન ખાંડની નિકાસ થઈ

મુંબઈ, તા. 13 મે, 2019, સોમવાર

સપ્ટેમ્બરના અંતે પૂરી થનારી વર્તમાન માર્કેટિંગ મોસમમાં દેશની ખાંડની નિકાસ વધીને ૨૧.૨૯ લાખ ટન રહી છે જે ૨૦૧૭-૧૮ની સંપૂર્ણ માર્કેટિંગ મોસમમાં પાંચ લાખ ટન રહી હતી, એમ પ્રાપ્ત આંકડા જણાવે છે. 

૧લી ઓકટોબર ૨૦૧૮થી ૬ એપ્રિલ ૨૦૧૯ સુધીમાં થયેલી કુલ નિકાસમાંથી ૯.૭૬ લાખ ટન રો સુગર હતી એમ ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. બીજી ૭.૨૪ લાખ ટન ખાંડ નિકાસની પ્રક્રિયામાં છે. 

હાલમાં કુલ ૩૦ લાખ ટન ખાંડની નિકાસ માટે કરાર કરાયા છે, જેમાંથી મિલો ખાતેથી ૨૮.૫૩ લાખ ટન ખાંડ આ અગાઉ જ રવાના કરી દેવાઈ છે. 

વૈશ્વિક બજારમાં નીચા ભાવને કારણે ભારત ગયા વર્ષે પાંચ લાખ ટન ખાંડની જ નિકાસ કરી શકયું હતું. નીચા ભાવને કારણે ભારતની ખાંડ વૈશ્વિક બજારમાં સ્પર્ધામાં ટકી શકી નહોતી. 

ભારતની ખાંડ મોટેભાગે, બંગલાદેશ, શ્રીલંકા, સોમાલિયા, અફઘાનિસ્તાન તથા ઈરાન ખાતે નિકાસ થાય છે. દેશમાં વધારાના સ્ટોકસનો નિકાલ કરવા સરકારે વર્તમાન માર્કેટિંગ મોસમમાં પ૦ લાખ ટન ખાંડ નિકાસ કરવા નિકાસકારોને સરકારે નિર્દેશ આપ્યો છે.

ગયા વર્ષમાં ૩૨૫ લાખ ટનની સરખામણીએ વર્તમાન વર્ષમાં ભારતનું ખાંડનું ઉત્પાદન ૩૩૦ લાખ ટન જેટલું વિક્રમી રહેવા ધારણાં છે. દેશમાં ખાંડની કુલ વાર્ષિક માગ ૨૬૦ લાખ ટન રહે છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vV6yX1
via Latest Gujarati News

Post a Comment

0 Comments