
(પીટીઆઇ) મુંબઇ, તા. 13 મે 2019, સોમવાર
નક્સલવાદીઓ ફરી એકવાર ગઢચિરોલીમાં ત્રાટક્યા હતા અને વોટર ટેન્કર, બે રોડ કન્સ્ટ્રક્શન મશીનને આગ ચાંપી હતી. આ બનાવ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાને સ્થળે ઇટાપલ્લી ખાતે બન્યો હતો.
આ બનાવ રવિવારની રાતે ઇમલી અને માનગુથા ખાતે આવેલ રોડ કન્સ્ટ્રક્શન સાઇટ પર બન્યો હતો તેવી માહિતી બુરગી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આપી હતી. આ ઘટનામાં ૪૦ ગણવેશધારી નક્સલવાદીઓ સંડોવાયેલા હોવાનું પણ તેમણે સ્પષ્ટકર્યું હતું.
તેમણે આગળ જણાવ્યું હતું કે આ લોકોએ વોટર ટેન્કર, સિમેન્ટ કોંક્રિટ મિક્સર અને એક રોડ રોલર સહિતના અન્ય ઉપકરણ અને સામગ્રીને આગ ચાંપી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામુ હાથ ધર્યું હતું.
ગયા અઠવાડિયે પણ નક્સલવાદીઓએ મોટા પ્રમાણમાં રસ્તા બનાવવાના વાહનોને ઇટાપલ્લીના કસનસૂર ખાતે આગ ચાંપી હતી. આ સંદર્ભે ઉક્ત અધિકારીએ જણાવ્યું હતું કે અવારનવાર બનતા આવા હુમલાઓને પરિણામે ગામવાસીઓ તકલીફમાં મૂકાય છે. કારણ કે હાલ ચાલી રહેલ વિકાસના કામો ખોરવાતા ગામવાસીઓને ચોમાસામાં હાડમારી સહેવી પડશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PZ0PJ9
via Latest Gujarati News
0 Comments