શ્રીલંકામાં ફરીથી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, હિંસા વકરતાં સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ કરાયો


(પીટીઆઈ) કોલંબો, તા. 13 મે, 2019, સોમવાર

શ્રીલંકામાં ગત મહિને ઈસ્ટરની ઉજવણી દરમિયાન થયેલા આતંકી હુમલા બાદ હજુ સુધી સ્થિતિ સામાન્ય નથી થઈ. રાજ્યમાં વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટને પગલે મસ્જિદો, મુસ્લીમો અને તેમના દ્વારા ચલાવાતી દુકાનો પર હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી જેથી સરકારે ફેસબુક, વ્હોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકી આખા દેશમાં કર્ફ્યુ જાહેર કર્યો છે.

 શ્રીલંકાના પશ્ચિમી ચિલોવ પ્રાંતમાં મુસ્લીમ વેપારીએ ફેસબુક પોસ્ટમાં કરેલી વાંધાજનક કોમેન્ટને પગલે તે વિસ્તારમાં મુસ્લીમો, મસ્જિદો અને મુસ્લીમો દ્વારા સંચાલિત દુકાનો પર હુમલાઓની ઘટના નોંધાઈ હતી જેથી પોલીસે ત્યાં કર્ફ્યુ લાગુ કરવો પડયો હતો અને તેના એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. 

ફેસબુકમાં સિંહલી ભાષામાં એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં સિંહલિયોનો રડાવવા મુશ્કેલ છે તેમ લખેલું હતું. તેના જવાબમાં ૩૮ વર્ષીય મુસ્લીમ વેપારી અબ્દુલ હમીદ મોહમ્મદ હસમરે અંગ્રેજીમાં 'વધારે ખુશ ન થશો,

એક દિવસ તમારે રડવું પડશે' તે અર્થની કોમેન્ટ કરી હતી જેને સ્થાનિક ખ્રિસ્તીઓએ ભાવિ હુમલાના સંકેત સમાન ગણી હતી. તે વિસ્તારના લઘુમતી મુસ્લીમ અને સિંહલ સમાજ વચ્ચે હિંસક અથડામણને પગલે રવિવારે સાંજે કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસે જણાવ્યા પ્રમાણે ચિલોવ અને કુલિયાપિતિયા વિસ્તારમાંથી બાદમાં કર્ફ્યુ હટાવી લેવાયો હતો. 

પરંતુ થોડા કલાકોમાં જ હિંસક અથડામણને કારણે શ્રીલંકન સરકારે ફરીથી ઉત્તર પશ્ચિમી વિસ્તારના ચાર ગામડાઓમાં કર્ફ્યુ લાગુ કરવો પડયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે સોમવારે વહેલી સવારે છ કલાકે કુલિયાપિતિયા, હેટિપોલા, બિંગિરિયા અને ડૂમલસુરિયા વિસ્તારોમાંથી કરફ્યુ હટાવી લેવામાં આવ્યો હતો.

પરંતુ બપોરે હેટિપોલા ગામમાં સામૂદાયિક અથડામણને પગલે ફરીથી ચારેય ગામડાઓમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતોે. હેટિપોલામાં સામૂદાયિક અથડામણને કારણે આસપાસના અન્ય ત્રણ ગામડાઓ સહિત કુલ ચાર ગામોમાં મંગળવારે સવારે ચાલ કલાક સુધીનો કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VyItEX
via Latest Gujarati News

Post a Comment

0 Comments