
(પીટીઆઈ) લંડન, તા. 13 મે, 2019, સોમવાર
ભવાની ઈસ્પાતી નામની ભારતીય મહિલા એક ગંભીર અને અસાધ્ય બિમારીથી પીડાઈ રહી છે જેના કારણે સર્જરી બાદ તે થોડો સમય કોમામાં રહી હતી. યુકેની સરકારે આ મહિલાને દેશ છોડીને ભારત પરત ફરવા માટે આદેશ આપ્યો છે જેના સામે તેણે લડત આરંભી છે.
ભવાની અભ્યાસાર્થે બ્રિટન પહોંચી હતી અને ત્યાર બાદ 'ક્રોહન ડીસીઝ'નો ભોગ બની હતી. આ રોગમાં શરીરના પાચન માર્ગમાં અવ્યવસ્થા સર્જાય છે જેથી દર્દીને ચોક્કસ પ્રકારની રોગપ્રતિકારક દવાઓની જરુરિયાત અનુભવાય છે.
બ્રિટિશ ગૃહ મંત્રાલયે ભવાનીને કૌટુંબિક સાર-સંભાળ માટે ભારત પરત ફરવા આદેશ આપ્યો છે પરંતુ ભવાનીએ જણાવ્યા પ્રમાણે તે ઉસ્તકિનુમેબ જેવી રોગપ્રતિકારક દવાઓના કારણે જ થોડી ઘણી સ્વસ્થ રહી શકે છે અને તે દવાઓ હાલ ભારતમાં અપ્રાપ્ય છે.
યુકેના ગૃહ મંત્રાલયે તાજેતરમાં એક નોટિસ મોકલી છે જેમાં ભવાનીની યુેકમાં રહેવા દેવાની અપીલને નામંજૂર કરવામાં આવી છે અને તેને બળપૂર્વક ભારત પરત મોકલવામાં આવશે તેમ જણાવાયું છે. તેના વિરોધમાં ૩૧ વર્ષીય ભવાનીએ એક ઓનલાઈન કેમ્પેઈન શરુ કર્યું છે જેમાં તે પોતાને યુકેમાં રહેવા દેવા માટે લોકોનો સાથ માંગી રહી છે.
સર્જરી બાદ ભવાની કોમામાં હતી તે સમયે જ તેના મંગેતર માર્ટિન મેંગલરે તેને યુકેમાં રહેવા દેવા માટે અરજી કરી હતી અને સાથે જ એક મેડિકલ રિપોર્ટ જોડયો હતો જેમાં મુસાફરી ભવાની માટે જોખમી સાબિત થઈ શકે છે તેવો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. ગત મહિને આંતરડામાં સર્જાયેલી મુશ્કેલીને પગલે ભવાનીને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને હાલમાં તેના પેટ સાથે એક બેગ જોડાયેલી છે અને નળી(ડ્રીપ) મારફતે તે ટકી રહી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HpIwcb
via Latest Gujarati News
0 Comments