ગાંધીનગર, તા. 27 મે 2019 સોમવાર
લોકસભાની ચૂંટણીમાં 303 બેઠક જીતીને ભાજપે એકલા હાથે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. આ જીત પાછળ મોદી વેવની વાતો ચાલી રહી છે પરંતુ વાસ્તવિકતા જુદી છે.
2014ની ચૂંટણીમાં મોદી વેવ હતો, ત્યારબાદ 2019 સુધીમાં મોદી અને ભાજપ સરકારની સામે આક્રોશ અને વિરોધ પણ હતો. ખાસ કરીને નોટબંધી તથા જીએસટીમાં મોદી સરકારે જે પગલાં ભર્યા તેનાથી લોકોમાં નારાજગી હતી. ઉપરાંત પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, મોંઘવારી, ભ્રષ્ટાચારમાં વધારો, બેરોજગારીની સમસ્યા, ખેડૂતોના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાને કથળેલી પરિસ્થિતિ સહિતના અનેક મુદ્દાઓથી લોકો પરેશાન છે.
આવી સ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં મોટાભાગના રાજકીય પંડિતો એવી વાત કરતા હતા કે એનડીએને 250 જેટલી બેઠકો મળશે પરંતુ ભાજપે એકલા હાથે 300નો આંકડો વટાવી દેતાં રાજકીય નિષ્ણાંતો ચોકી ઉઠ્યા છે. તેઓએ કરેલા વિશ્લેષણમાં બેથી ત્રણ મહત્વની બાબતો બહાર આવી છે. જેમાં સૌથી વધુ મહત્વની બાબત એ છે કે 2019માં કોઈ જ મોદી વેવ ન હતો, પરંતુ ભાજપની જીત પાછળ ટીના ફેક્ટર જવાબદાર છે. ટીના એટલે કે ઘેર ઈઝ નો અલ્ટરનેટિવ સરળ શબ્દોમાં કહીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ જ ન હતો.
રાજકીય નિષ્ણાંતો અને સમીક્ષકોના ધ્યાનમાંથી પણ આ બાબત નીકળી ગઈ હતી. દેશના કરોડો લોકો એવું વિચારતા હતા કે જો વડાપ્રધાન મોદી નહીં બને તો શું માયાવતી કે મમતા કે શરદ પવાર અથવા તો રાહુલ વડાપ્રધાન બનશે. રોજ વડાપ્રધાનના નામ બદલતા હતા. જે મતદારોને જરાય પસંદ ન હતું એક તબક્કે લોકો ડરી ગયા હતા કે જો મોદી નહીં હોય તો અન્ય કોઈ વ્યક્તિ વડાપ્રધાન બની જશે. આવી સરકાર દેશમાં લાંબો સમય સુધી સ્થિર નહીં રહે અને દેશ બરબાદ થઈ જશે.
ઉપરાંત ભારતે બાલાકોટમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને પગલે દેશભરમાં રાષ્ટ્રપ્રેમનો જુવાળ ઊભો થયો હતો. મોદીની લોકપ્રિયતામાં એકથી 10 નંબર સુધી ઊભો રહી શકે તેવો એક પણ નેતા ભારતમાં નથી. આ એકમાત્ર કારણને લીધે લોકોએ કેન્દ્ર સરકારની તમામ નિષ્ફળતાઓને બાજુ પર મૂકીને અન્ય કોઈ સબળ વિકલ્પ ન હોવાને લીધે નરેન્દ્ર મોદી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M8SgNu
via Latest Gujarati News
0 Comments