શ્રીલંકાના ક્રિકેટર ગુનાવર્દને અને ઝોયસા સામે મેચ ફિક્સિંગનો આરોપ

કોલંબો, તા. ૧૦

શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન ગુનાવર્દને અને ફાસ્ટ બોલર નુવાન ઝોયસાની સામે આઇસીસીએ મેચ ફિક્સિંગનો આરોપ મૂક્યો છે.આઇસીસીએ બંને ક્રિકેટરોને ખુલાસો કરવા માટે ૧૪ દિવસનો સમય આપ્યો છે અને આ પછી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી લાગી રહ્યું છે. 

ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં સંયુક્ત આરબ અમીરાતમાં ટી-૧૦ લીગ રમાઈ હતી. ક્રિકેટના આ તદ્દન નવા ફોર્મેટમાં ગુનાવર્દને અને ઝોયસા પણ સામેલ હતા અને તેમાં તેઓ મેચ ફિક્સિંગની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા, તેવો આક્ષેપ આઇસીસીએ મૂક્યો છે. શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર જયસુર્યા પર બે વર્ષનો પ્રતિબંધ મૂકાઈ ચૂક્યો છે. તેની પર તપાસમાં સહયોગ ન કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 

શ્રીલંકાનો ભૂતપૂર્વ ક્રિકેટર ઝોયસા ૩૦ ટેસ્ટ અને ૯૫ વન ડે રમી ચૂક્યો છે. તે શ્રીલંકાનો બોલિંગ કોચ પણ રહી ચૂક્યો છે અને નવેમ્બર મહિનામાં જ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે ગુનાવર્દને છ ટેસ્ટ અને ૬૧ વન ડેમા સામેલ રહી ચૂક્યો છે. તે ચાલુ વર્ષના પ્રારંભે શ્રીલંકાની ટીમના બેટીંગ કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી ચૂક્યો છે.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hd5ogc
via Latest Gujarati News

Post a Comment

0 Comments