નવી દિલ્હી, તા.24 મે, 2019, શુક્રવાર
આગામી એપ્રિલ માસથી પ્રદૂષણ અંગેના BS-VI નિયમનોનો અમલ થનાર હોઈ ચાલુ વર્ષના બીજા અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન વ્યાપારી વાહનોનું વેચાણ ધીમું પડશે તેમ ઓટો ઇન્ડસ્ટ્રીનું માનવું છે.
ઓટો ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ ઇન્ડસ્ટ્રીને એવી આશા હતી કે ચાલુ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળા દરમિયાન વ્યાપારી વાહનોનું વેચાણ વધશે. પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્ભવેલ મંદીનો માહોલ તેમજ વિવિધ પ્રતિકૂળતાઓના પગલે અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડતા સમગ્ર ચિત્ર પલટાઈ જતું હોવાનું જણાઈ રહ્યું છે.
અર્થતંત્રની વૃદ્ધિ ખોરવાવાની સાથે ઉત્પાદન પ્રક્રિયા ઘીમી પડી છે. તો બીજી તરફ ઇન્ફ્રા પ્રોજેક્ટની ગતિ પણ રૂંધાઈ છે. તેની સાથોસાથ નવા રોકાણ પણ અટક્યો છે. જ્યારે બજારોમાં માંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.તેમાં વળી આગામી એપ્રિલ ૨૦૨૦થી પ્રદૂષણ અંગેના નવા નિયમનોનો અમલ થનાર હઈ નવા વ્યાપારી વાહનોની ખરીદી પર પણ બ્રેક વાગી ગઈ છે. જરૂરિયાતમંદ લોકો નવું વાહન ખરીદવાની જગ્યાએ અન્ય માર્ગ અપનાવી રહ્યા છે.
અન્ય એક મહત્ત્વની વાત પર નજર કરીએ તો વ્યાપારી વાહનોની ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની ખરીદ નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી) પર નિર્ભર રહેતી હોય છે. હાલ એનબીએફસી ક્ષેત્રે લિક્વિડીટીની ખેંચ સર્જાઈ હોવાના કારણે તેમની ધિરાણ શક્તિ પર પણ વેચાણ પર પ્રતિકૂળ અસર થવા પામી છે.
આ ઉપરાંત પ્રદૂષણના નવા નિયમનોના અમલ સામે વાહન બજારમાં મુકાશે તે સાથે જ વાહનોની કિંમતમાં પણ વધારો થસે. આ મુદ્દાને લઈને પણ પ્રતિકૂળ માહોલ સર્જાય તેવી વકી છે. ટૂંકમાં વિવિધ પ્રતિકૂળતાઓ જોતા ચાલુ વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળા દરમ્યાન વ્યાપારી વાહનોના વેચાણમાં ઘટાડો થવાની સંભાવના છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Qjwd5h
via Latest Gujarati News
0 Comments