લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ PM મોદી અને અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે

અમદાવાદ, તા. 26 મે 2019 રવિવાર

PM નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ગુજરાતની મુલાકાત લેશે. ચૂંટણી પરિણામો બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ પ્રવાસ છે.

30મીએ બીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરતા પહેલા PM મોદી માતા હીરાબાના આશીર્વાદ લેશે. પીએમ મોદી અને અમિત શાહનું પ્રદેશ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત, અભિવાદન કરાશે. ખાનપુર જે.પી ચોકીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ખાનપુર જે.પી.ચોકમાં ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવશે. મોદી અહીં કાર્યકરોને સંબોધન પણ કરશે. 

રવિવારે સાંજે 5 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે જ્યાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાંથી સાંજે 5.30 કલાકે ખાનપુર કાર્યાલય પહોંચશે. 

જે.પી.ચોક ખાતે મોદી અને અમિત શાહ જનસભા સંબોધશે. અમદાવાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર જશે. રવિવારે તેઓ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. સોમવારે પોતાના લોકસભા ક્ષેત્ર વારાણસી જશે.

ખાનપુર જે. પી. ચોક ખાતે PM નરેન્દ્ર મોદી સભા હોવાથી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરક્ષા માટે 5 ડીસીપી, 14 એસીપી, 23પીઆઈ, 80 PSI, 1600 પોલીસ જવાનો તહેનાત રહેશે. ડ્રોન ઉપર પ્રતિબંધ મુકીને ફલાય ઝોન જાહેર કરાયો છે. એરપોર્ટથી ખાનપુર અને સભાના રૂટ પર IPS સહિત બે હજાર જવાનો તહેનાત રહેશે.

વડાપ્રધાન 29મીએ સાંજે જ પરત નવી દિલ્હી જતાં રહેશે. 30મી મેના રોજ સાંજે 5 વાગ્યે નવી દિલ્હીમાં તેમનો શપથ સમારંભ યોજાશે. જેમાં દેશભરના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, રાજ્યપાલો, ભાજપના નાના-મોટા નેતાઓ, આગેવાનો અને કોર્પોરેટ જગતના માંધાતાઓ તેમજ ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરો જેવી સેલિબ્રિટીને પણ શપથ સમારોહમાં હાજર રહેવા માટેનું આમંત્રણ અપાશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ka182Z
via Latest Gujarati News

Post a Comment

0 Comments