સરકારે જુલાઇથી સપ્ટેબર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો


સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હવે 8.4 ટકા વ્યાજ મળશે 

કેવીપીનો વ્યાજ દર ઘટાડી 7.6 કરાતા હવે 112ને બદલે 113 મહિનામાં નાણા ડબલ થશે

પાંચ વર્ષ માટેની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં હવે 8.6 ટકાને બદલે 8.5 ટકા વ્યાજ મળશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 28 જૂન, 2019, શુક્રવાર

સરકારે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટર માટે એનએસસી અને પીપીએફ સહિતની નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ૦.૧ ટકાનો ઘટાડો કર્યો છે. 

આરબીઆઇ દ્વારા ચાલુ વર્ષમાં ત્રણ વખત વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવતા સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.  બચત ખાતામાં જમા રકમ પરના ચાર ટકા વ્યાજમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. તેના સિવાયની તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના બીજા કવાર્ટર માટે નાની બચતના વ્યાજ દરોની જાહેરાત કરતા નાણા મંત્રાલયે જણાવ્યું છે કે સરકારના નિર્ણય મુજબ બીજા કવાર્ટર માટે વ્યાજ દરો જાહેર કરવામાં આવ્યા છે. 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(એનએસસી)નો વ્યાજ દર આઠ ટકાથી ઘટાડી ૭.૯ ટકા કરવામાં આવ્યો છે. 

કિસાન વિકાસ પત્ર(કેવીપી)નો વ્યાજ દર ૭.૭ ટકાથી ઘટાડી ૭.૬ ટકા કરવામાં આવતા આ યોજનામાં અત્યાર સુધી ૧૧૨ મહિનામાં નાણાં ડબલ થતા હતા હવે તે ૧૧૩ મહિનામાં થશે. 

બાળ કન્યાઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હવે ૮.૫ ટકાને બદલે ૮.૪ ટકા વ્યાજ મળશે. 

પાંચ વર્ષ માટેની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં હવે ૮.૬ ટકાને બદલે ૮.૫ ટકા વ્યાજ મળશે. 

એક થી ત્રણ વર્ષ માટેની ટર્મ ડિપોઝીટનો વ્યાજ દર ઘટાડી ૬.૯ ટકા જ્યારે પાંચ વર્ષની ટર્મ ડિપોેઝીટનો વ્યાજ દર ઘટાડી ૭.૭ ટકા કરવામાં આવ્યો છે. રિકરિંગ ડિપોઝીટ પરનો વ્યાજ દર ૭.૩ ટકાથી ઘટાડી ૭.૨ ટકા કરવામાં આવ્યો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Zgyxu
via Latest Gujarati News

Post a Comment

0 Comments