પુલવામામાં પોલીસમાંથી જૈશના આતંકી બની ગયેલા બે સહિત ચાર ઠાર


પૂંચમાં સરહદ પાસે હુમલો, એક જવાનને ઇજા

ડોડા જિલ્લામાં સુરક્ષાદળના જવાનોએ આતંકવાદીઓનો અડ્ડો શોધી કાઢયો : વિસ્ફોટકો સહિતની સામગ્રી જપ્ત

(પીટીઆઈ) શ્રીનગર, તા. 7 જૂન, 2019, શુક્રવાર

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં સુરક્ષાતંત્રને સફળતા મળી હતી. પોલીસજવાનમાંથી આતંકવાદી બની ગયેલા બેનો પણ આ ઠાર થયેલા આતંકવાદીઓમાં સમાવેશ થતો હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસ ફોર્સના બે સ્પેશિયલ પોલીસ ઓફિસરો બે દિવસથી સરકારી શસ્ત્રો લઈને ગુમ થઈ ગયા હતા. તેની શોધખોળ શરૂ થઈ હતી અને એ બંને આતંકવાદીઓ બની ગયા હોવાની શંકા હતી. દરમિયાન ભારતીય સુરક્ષાતંત્રએ પુલવામામાં આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ વિરૂદ્ધ શરૂ થયેલા ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓ ઠાર થયા હતા.

તેમાં ગુમ થયેલા બે પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. આ ચારેય આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા હતા. આ વિસ્તારમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી હતી. સુરક્ષાતંત્રને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. તે પછી વિશેષ ઓપરેશન હાથ ધરાયું હતું અને તેના ભાગરૂપે અફવાઓ ન ફેલાય તે માટે ઈન્ટરનેટની સેવા બંધ કરાઈ હતી.

દરમિયાન સોપારમાં પોલીસ સ્ટેશનમાં ગ્રેનેડથી હુમલો થયો હતો, જેમાં બે પોલીસ જવાન ઘાયલ થયા હતા. પૂંચ જિલ્લામાં સરહદે એક બ્લાસ્ટ થયો હતો, તેમાં એક જવાન ઘાયલ થયો હતો. રૂટિન પેટ્રોલિંગ ચાલતું હતું એ વખતે જમીનમાં છુપાવેલા વિસ્ફોટકોથી ધડાકો થયો હતો. ડોડા જિલ્લામાં સુરક્ષાતંત્રએ શરૂ કરેલા ઓપરેશનમાં એક આતંકવાદીઓનું ઠેકાણું મળી આવ્યું હતું. સુરક્ષાતંત્રએ આતંકવાદીઓનું એ આશ્રય સ્થાન તોડી પાડયું હતું અને વિસ્ફોટકો સહિતની સામગ્રી જપ્ત કરી હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2I29PLe
via Latest Gujarati News

Post a Comment

0 Comments