
(પીટીઆઇ) નવીદિલ્હી, તા. 26 જૂન, 2019, બુધવાર
દિલ્હી હાઇકોર્ટે આજે લોકસભાના અધ્યક્ષ ગૃહમાં જલદીથી વિપક્ષી નેતાની નિમણૂક કરે એ માટે એમને સૂચવવા કરેલી અરજીની તત્કાળ સુનાવણીનો ઇન્કાર કર્યો હતો.
ન્યાયમૂર્તિ જ્યોતિ સિંઘ અને ન્યાયમૂર્તિ મનોજ કુમાર ઓહરિની બનેલી વેકેશન બેન્ચે જણાવ્યું કે અરજીની સુનાવણીના સંદર્ભે રાહતના જે મુદ્દાનો ઉલ્લેખ કરાયો છે એ જોતા અરજીની સુનાવણી તાત્કાલિક હાથ ધરવાની કોઇ જ જરૂર નથી. બેન્ચે આ અરજીની સુનાવણી માટે આગામી તા.8 જુલાઇ મુકરર કરી છે.
પીટીશનર એડવોકેટ મનમોહન સિંઘ નારૂલા અને એડવોકેટ સુસ્મિતા કુમારીએ જણાવ્યું કે લોકસભા અધ્યક્ષ, વિપક્ષી નેતાની નિમણૂક કરવાની એમની કાનૂની ફરજ બજાવતા નથી. આ પદ માટે કોઇ સભ્યને માન્ય કરવા એ રાજકીય અથવા અંકગણિતને લગતો નહિ, પરંતુ કાનૂની નિર્ણય છે. અધ્યક્ષે ફક્ત એટલું જ નક્કી કરવાનું છે કે આ હોદ્દા માટે દાવો કરતો પક્ષ, વિપક્ષમાં સૌથી મોટો પક્ષ છે કે કેમ ?
અરજીમાં વિપક્ષી નેતાની નિમણૂક માટેની નીતિ નક્કી કરવાની માગણી પણ કરાઇ છે. સંસદમાં બાવન બેઠકો સાથે દ્વિતીય સહુથી મોટા પક્ષ બની રહેલા કોંગ્રેસને વિપક્ષી નેતાપદ આપવાનો ઇન્કાર કરવાથી ખોટી પ્રથા પડે છે અને લોકતંત્રનો જુસ્સો ઘટે છે, એમ અરજીમાં જણાવાયું છે.
પશ્ચિમ બંગાળના બહેરામપુરના સાંસદ અધીર રંજન ચૌધરી લોકસભામાં કોંગ્રેસ સંસદીય પક્ષના નેતાપદે ચૂંટાયા છે. સંસદીય વિપક્ષી નેતાના વેતન અને ભથ્થાં સંબંધી કાયદામાં એવી કોઇ શરત નથી કે ગૃહના કુલ સભ્યોના 10 ટકા સભ્યો ધરાવતા વિપક્ષને જ વિપક્ષી નેતાપદ મળે, એવી સ્પષ્ટતા અરજીમાં કરાઇ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YixigS
via Latest Gujarati News
0 Comments