
મુંબઇ, તા.22 જુલાઇ, 2019, મંગળવાર
મુંબઇના બાંદરા (વે.)માં આવેલ એમટીએનએલ (મહાનગર ટેલિફોન નિગમ લી.)ની નવ માળની ઇમારતમાં આજે બપોરે 3 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આ આગ ત્રીજા, ચોથા અને પાંચમા માળે પ્રસરી હતી. તેથી એમટીએનએલના લગભગ 70 કર્મચારીઓ અગાસી પર ફસાઇ ગયા હતા. આ તમામ કર્મચારીઓને અંતે ફાયર બ્રિગેડે હેમખેમ બચાવી લીધા હતા.
આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી. આ માટે મોટામાં મોટું રેક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને સૌ પ્રથમવાર મુંબઇ ફાયરબ્રિગેડે આગ બુઝાવવા રોબોટનો ઉપયોગ કર્યો હતો.
બપોરે ત્રણ વાગ્યાના સુમારે આગ લાગ્યા બાદ ફાયરબ્રિગેડના 14 એન્જિન ઘટનાસ્થળે દાખલ થયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આ આગને લેવલ- ચારની જાહેર કરવામાં આવતા આજુબાજુના વિસ્તારના ફાયરબ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તેમજ ફાયરબ્રિગેડના વરિષ્ઠ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને બચાવકાર્ય પર નજર રાખી હતી.
આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં ધુમાડાના ગોટે-ગોટા મોટા પ્રમાણમાં ફેલાઇ જતા કર્મચારીઓ બહાર નિકળી શક્યા નહોતા અને પરિણામે આગ અને ધુમાડાથી બચવા ટેરેસ પર દોડી ગયા હતા. આ ઇમારતમાં કેબલ અને લાકડાનો મોટો જથ્થો હોવાથી આગ ઝડપથી ફેલાવવાનું જોખમ હતું. પરિણામે ટેરેસ પર ફસાયેલા કર્મચારીઓમાં પણ ગભરાટનું વાતાવરણ હતું.
આ ઇમારતની ટેરેસ પર તેમજ અન્ય સ્થળે ફસાયેલા લોકોને બચાવવા ફાયરબ્રિગેડે સ્નોરકેલ (યાંત્રિક સીડી)ની મદદથી ટેરેસ પર ફસાયેલા લોકોની નીચે લાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમજ બચાવ કામગિરી ઝડપથી થઇ શકે તે માટે અન્ય સ્નોરકેલ પણ બોલાવવામાં આવી હતી. અન્ય સ્નોરકેલ આવ્યા બાદ બચાવકાર્યમાં તેજી આવી હતી.
પ્રાથમિક તપાસમાં આગ એસી રૂમમાં શોર્ટ સર્કીટ થવાને પરિણામે ફાટી નિકળી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. આગ લાગ્યા બાદ તરત જ અમૂક કર્મચારીઓ દાદરા વાટે દોડીને નીચે આવી જવામાં સફળ રહ્યા હતા પણ ઉપરના માળેકામ કરતા કર્મચારીઓ આગ ભીષણ બનતા અને ધુમાડાના ગોટેગોટા ફરી વળતા ટેરેસ પર જવા મજબૂર બન્યા હતાં.
ફાયર બ્રિગેડે સૌ પ્રથમવાર આગ બુઝાવવા રોબોટનો ઉપયોગ કર્યો : મુંબઇ ફાયરબ્રિગેડને અદ્યતન સુસજ્જ બનાવવા નવા ફાયર એન્જિન, સ્નોરકેલી સીડી, વિવિધ ઉપકરણો સાથે જ કટોકટીની પળોમાં આગ બુઝાવવા રોબોટ પણ વસાવવામાં આવ્યો છે.
અહીં લાગેલી આગને બુઝાવવા ફાયર બ્રિગેડે સૌ પ્રથમવાર રોબોટનો ઉપયોગ કર્યો હતો. રોબોટની મદદથી આગ પર પાણીનો મારો કરવામાં આવ્યો હતો. સ્વયંચલિત રોબોએ પોતાની રીતે માર્ગ કાઢી આગની દીશામાં પાણીનો મારો કર્યો હતો.
પાસેની સ્કૂલ અને પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા : ફાયરબ્રિગેડે આ આગને ચોથી શ્રેણી (લેવલ ફોર) જાહેર કરતા સાવચેતીના પગલા રૂપ આ ઇમારતની બાજુમાં આવેલ એક સ્કૂલ અને થોડા અંતરે આવેલ પેટ્રોલપંપને પણ બંધ કરાવી દીધો હતો. 2018માં જ ઇમારતનું ઓડીટ કરવામાં આવ્યું હતું :
દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે આગની વધતી ઘટનાને ધ્યાનમાં રાખી દર અમૂક વર્ષે સરકારી કચેરી/ ઇમારતોનું ઓડિટ કરવામાં આવે છે તે મુજબ વર્ષ 2018માં જ આ ઇમારતનું ઓડીટ કરવામાં આવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z4uGDL
via Latest Gujarati News
0 Comments