
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી, 2020, ગુરૂવાર
દેહાંત દંડની સજાની અંતિમતા ખૂબ જ મહત્વની છે તે બાબતનું નિરિક્ષણ કરતાં સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવ્યું કે દોષિતો ફાંસીની સજાને અંતહીન કેસોના દાંવપેચમાં ફસાવી શકે નહીં. મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સાત લોકોની હત્યાના કેસમાં ફાંસીની સજાનો સામનો કરનારા શબનમ અને તેના પ્રેમી સલીમની ફાંસીની સજા વિરૂદ્ધ દાખલ પુનર્વિચાર અરજીની સુનાવણી દરમિયાન આ ટીકા કરી હતી. નિર્ભયા કેસમાં દોષિતો દ્વારા ફાંસીની સજાને વિલંબમાં નાંખવા અજમાવાતા દાવપેંચના સંદર્ભમાં પણ સુપ્રીમ કોર્ટનું આ નિરિક્ષણ ઘણું જ મહત્વનું છે.
મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે ફાંસીની સજા પર અમલની બાબતને અંતહીન કેસોમાં ફસાવી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે શબન અને તેના પ્રેમી સલીમની ફાંસીની સજા વિરૂદ્ધ દાખલ પુનર્વિચાર અરજી પર સુનાવણી કરતાં આ ટીપ્પણી કરી હતી.
સુનાવણી દરમિયાન સલીમ અને શબનમના વકીલ આનંદ ગ્રોવરે દોષિતોની ગરીબી અને નિરક્ષરતાનો હવાલો આપીને સજામાં રાહત આપવાની માગણી કરી હતી. વકીલે કહ્યું કે તેનું બાળક નાનું છે, તેની સારસંભાળ રાખનાર કોઈ નથી.
અરજદારોની વકીલ મિનાક્ષી અરોરાએ કહ્યું કે ફાંસીની સજા ટાળવા એક ટકા પણ ચાન્સ હોય તો કોર્ટે આ અંગે વિચારવું જોઈએ. કોર્ટે કહ્યું કે આ રીતે ચર્ચા થશે તો અમે કોઈ કેસમાં ચૂકાદો આપી શકીશું નહીં. તમારે કેસના મેરિટ અંગે ચર્ચા કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં અનેક લોકો ગરીબ અને નિરક્ષર છે. તમે પુનર્વિચાર અરજી પર ચર્ચા કરી રહ્યા છો. તમે એ જણાવો કે સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા આપવામાં ક્યાં ભૂલ કરી છે. બેન્ચે કહ્યું કે આ કેસમાં બધા જ પાસાઓ જોયા પછી નિર્ણય અપાયો હતો.
તેમને અફેર હતો. બંને મળતા હતા. સાથે ફરતા હતા. પિતાએ તેમના સંબંધો સામે વાંધો ઊઠાવ્યો. ત્યાર પછી ઘરમં રોજ ઝઘડા થવા લાગ્યા. ત્યાર પછી તેમણે પિતાની હત્યાની યોજના બનાવી અને પછી આખા પરિવારને મારી નાંખ્યો. 10 મહિનાના બાળકને પણ છોડયું નહીં. ત્યાર પછી તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો.
બેન્ચે અરજદારોના વકીલોને એમ પણ કહ્યું કે તમે સુપ્રીમ કોર્ટનો કોઈ એવો ચૂકાદો જણાવો, જેમાં જેલમાં સારા વર્તનના કારણે ફાંસીની સજા ઘટાડવામાં આવી હોય. જોકે, જેલમાં સારા વર્તનની અરજદારોની દલીલનો વિરોધ કરતાં સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ગૂનેગાર તેના માતા-પિતાની હત્યા કરી નાંખે અને પછી પોતે અનાથ થઈ ગયો હોવાની દલીલ કરીને માફી માગી શકે નહીં.
તેમણે ઉમેર્યું કે જેલમાં સારા વર્તનના આધારે ફાંસીની સજા માફ કરાશે તો જધન્ય ગૂનો આચરનારાઓ માટે ફાંસીની સજામાંથી છૂટવાનું અલગ હિથયાર મળી જશે. વર્ષ 2008માં ઉત્તર પ્રદેશના અમરોહામાં શબનમે તેના પ્રેમી સલીમ સાથે મળીને માતા-પિતા, બે ભાઈ, ભાભીઓને ઝેર આપી તેમનાં માથાં કાપી નાંખ્યા હતા અને 10 મહિનાના ભત્રીજાનું ગળું દબાવી તેની પણ હત્યા કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GhLsY3
via Latest Gujarati News
0 Comments