
(પીટીઆઈ) લખનૌ, તા. 13 ફેબ્રૂઆરી, 2020, ગુરૂવાર
લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. દિલ્હીથી બિહારના મુજફ્ફરપુર તરફ જઈ રહેલી સ્લીપર કોચ બસ નગલા ખંગર પાસે એક ટ્રકમાં ઘૂસી જતા આ અકસ્માત થયો હતો.
ઉત્તર પ્રદેશમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ડબલ ડેકર બસે રસ્તાના કિનારે ઉભેલી ટ્રકને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને 25 લોકોને ઈજાઓ પહોંચી છે જેમાંથી ત્રણની હાલત ગંભીર છે.
દિલ્હીથી બિહારના મોતિહારી તરફ જઈ રહેલી બસમાં ડ્રાઈવર અને કન્ડક્ટર સહિત આશરે પાંચ ડઝન જેટલા લોકો સવાર હતા અને ફિરોઝાબાદ-ઇટાવા જિલ્લાની સરહદે આવેલા ભદાન ગામ પાસે આ અકસ્માત થયો હતો.
જાણવા મળ્યા મુજબ એક્સપ્રેસ વે પર એક ટ્રકને પંચર થયું હતું જેથી ડ્રાઈવર તેને રસ્તાના કિનારે પાર્ક કરીને પૈડું બદલી રહ્યો હતો. તે સમયે પાછળથી પૂરપાટ ગતિમાં આવી રહેલી બસે ટ્રકને ટક્કર મારી દીધી હતી અને આૃથડામણ એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. તપાસમાં બસની ઝડપ ખૂબ જ વધારે હોવાનું અને બસના ડ્રાઈવરની ભૂલના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત ડ્રાઈવર નશામાં હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. આ અકસ્માતમાં બસના ડ્રાઈવરનું પણ મોત થયું છે. અકસ્માત એટલો ભીષણ હતો કે બસને ક્રેનની મદદથી દૂર કરવી પડી હતી અને ગેસ કટર વડે કાપીને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બિહારના સીએમ નીતિશ કુમારે ટ્વિટરના માધ્યમથી અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું હતું. નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે 50,000 રૂપિયાનું વળતર ચુકવવા આદેશ આપ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UPvyMZ
via Latest Gujarati News
0 Comments