અમદાવાદ, તા. 31 માર્ચ 2020, મંગળવાર
કેટલીક સમસ્યાઓ કેટલાક લોકો માટે આશિર્વાદ સમાન પુરવાર થાય છે. કોરોના વાઇરસ આખા વિશ્વ માટે જોખમ રુપ બન્યો છે જ્યારે દેશના આર્થિક કૌભાંડીઓ માટે તે આશિર્વાદ સમાન સાબિત થઇ રહ્યો છે. દેશના આર્થિક તેત્રને ડૂબાડનારાઓને સરકાર કોર્ટ સુધી ખેંચી ગઇ હતી અને દરેક સામે મનીલોન્ડરીંગ કે ફેમા (ફોરેન એક્ષચેન્જ મેનેજમેેન્ટ એકટ ) જેવા કેસો દાખલ કરાયા છે. દરેકની સામે કેસ ચાલે છે અને અનેક જેલની હવા ખાય એવું પ્રારંભિક તપાસ પરથી લાગે છે. પરંતુ આગામી બે-ત્રણ મહિનાની છૂટ તેમને મળી ગઇ છે. જેને કોરાના છૂટ કહી શકાય.
ટૂંકમાં કોરોના વાઇરસના કારણે જાહેર કરાયેલું લોકડાઉન કૌભાંડીઓ માટે જીવતદાન સમાન બની ગયું છે. આ કૌભાંડીઓમાં મોટા નામો છે.જેવાંકે યસબેંકના રાણા કપુર, એસેલ ગૃપના સુભાષ ચંન્દ્ર, રીલાયન્સ કોમ્યુનિકેશનના અનિલ અંબાણી, જેટ એરવેઝના નરેશ ગોયેલ, આઇસીઆઇસીઆઇ બેંકના ચંદા કોચર, ઇન્ડિયા બુલ્સના સમીર ગેલત જેવાં અનેકનો સમાવેશ થાય છે. આ દરેક કૌભાંડીઓના નામ લોક જીભે ચઢેલા છે. તેમના કેસો ચાલાવા પર છે.
લગભગ દરેકની મુદત એપ્રિલના પ્રથમ અઠવાડીયાની છે. એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ, સીબીઆઇ અને સિરીયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન એજંસીઓએ દરેકની ઉલટ તપાસ શરુ કરી દીધી છે.આ તપાસ સેકન્ડ સ્ટેજમાં પહોંચી ત્યાં તો કોરાનાની એન્ટ્રી તેમની મદદે આવી છે એમ કહી શકાય. દરેકને આપેલી મુદત પાછી ઠેલવી પડી છે. કોરોનાની વધતી અસર અને સરકારની સક્રીયતા જોતાં એમ લાગે છે કે બે મહિના સુધી આ કૌભાંડીઓને તપાસમાંથી રાહત મળી શકે છે. સામાન્ય રીતે આર્થિક કૌભાંડ કરનારા સરકાર પાસે લાંબી મુદતની માગણી કરતા હોય છે પરંતુ કોર્ટો કડક વલણ અપનાવતી હોય છે.
મને જેલમાં કોરોના વાઇરસ થઇ શકે છે માટે મને જામીન આપો
યસ બેંકના ઉઠમણા પાછળ જેમને જવાબદાર ગણવામાં આવે છે તે ફાઉન્ડર ડીરેક્ટર રાણા કપુરે જામીન મેળવવા એવી રજૂઆત કરી હતી કે મને ફેફસાનું દર્દ છે અને હું ઇનહેલર વાપરું છું. મને જેલમાં કોરોના વાઇરસ થઇ શકે છે માટે મને જામીન આપો. જામીન બાદ તેમની બીજી મુદત એપ્રિલના પ્રથમ સપ્તાહની હતી. હવે લોકડાઉનના કારણે કોર્ટ તેમને સામેથી મુદત આપી રહી છે. જેમનો ભાઇ એશિયામાં સોથી વધુ પૈસાદાર છે તે અનિલ અંબાણીની સામે ચીનની ચાર ટોપની બેંકોએ કરેલા કેસની સુનાવણી દરમ્યાન 100 માલીયન ડોલર જમા કરવાનું કહ્યું હતું. હવે તો ચીનમાં પણ કોરોના છે અને ભારતમાં લોક ડાઉન છે. આમ કેસની લાંબી મુદત પડશે તે જોઇને અનિલ અંબાણીના ચહેરા પર સ્મિત ચમકે તે સ્વભાવિક છે.
સંસદનું સત્ર ચાલુ છે એવું બહાનું આગળ ધર્યું
એવુંજ એસેલ ગૃપના ચેરમેન સુભાષ ચંદ્રના કેસમાં થયું છે. યસ બેંક પાસેથી તેમની કંપનીએ 8,400 કરોડની લોન લઇને પછી તે પાછી આપવામાં ધાંધીયા કર્યા હતા. તપાસ એજંસીઓએ જ્યારે તેમને તપાસ માટે બોલાવ્યા ત્યારે તેમણે સંસદનું સત્ર ચાલુ છે એવું બહાનું આગળ ધર્યું હતું. તે રાજ્યસભાના સાંસદ છે. સત્ર પુરુ થયું અને કોરોના વાઇરસનો બોંબ ફાટયો હતો. ટૂંકમાં તેમની ઉલટ તપાસ થઇ શકી નહોતી. હવે તેમની સામેની તપાસ બે મહિના પાછી ઠેલાઇ ગઇ છે.
44 કંપનીઓએ યસ બેંકના 34,000 કરોડ રુપિયા દબાવી દીધા
યસ બેંક દેવાના ચક્કરમાં ડૂબી ત્યારે નાણાપ્રધાન નિર્મલા સિતારામને યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું હતું કે 10 મોટા બિઝનેસ ગૃહો સાથે જોડાયેલી 44 કંપનીઓએ યસ બેંકના 34,000 કરોડ રુપિયા દબાવી દીધા છે. જેના કારણે બેંક પર ભારણ વધ્યું હતું. લોન લેનાર તમામ 44 કંપનીઓ પર ફાઉન્ડર રાણા કપુરના આશિર્વાદ હતા. જેટ એરવેઝના નરેશ ગોયેલની પત્નીની ગયા અઠવાડીયે છ કલાક સુધી પૂછપરછ થઇ હતી. બેંકોના દબાયેલા નાણા ક્યાં રોક્યા છે તેની વિગતો તપાસ એજંસીઓ બીજી મુદતમાં મેળવવાની હતી ત્યાંજ કોરોના વાઇરસ આડો આવ્યો હતો.
હાજર થવાની તારીખો હવે બે મહિના પાછી ઠેેલવી પડશે
જ્યારે રિઝર્વ બેંકે તમામ બેંકેા પાસેથી નોન પરફોર્મીંગ એસેટના આંકડા માંગ્યા ત્યારે યસ બેંકે તેમની લોન નહીં ભરનારા કૌભાંડીઓના નામો છુપાવી રાખ્યા હતા. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તમામને નોટિસ ફટકારીને બોલાવ્યા હતા તો કેટલાકને પુરી દીધા હતા. જેમાં રાણા કપુરનો સમાવેશ થતો હતો. સંડોવાયેલા દરેકને સમંસ મોકલાયા હતા પરંતુ તેમની હાજર થવાની તારીખો હવે બે મહિના પાછી ઠેેલવી પડશે. સામાન્ય અને મધ્યમ વર્ગના ખાતેદારો સાથે બેંકોનો વ્યવહાર ઉધ્ધતાઇ ભર્યો હોય છે. જ્યારે મોટી કંપનીઓ અને વગદાર લોકો ધારે એટલી લોન લઇ શકે છે તે તો ઠીક પણ તે પાછી પણ નથી આપતી.
બેંકોને કરોડો રુપિયાનો ચૂનો ચોપડનારા વગદાર લોકો છે
મની લોન્ડરીંગના કેસોમાં બેંકોની સાંઠગાંઠ તપાસ એજંસીઓએ શોધી કાઢી છે. બેંકનો સ્ટાફ અને ટોચના અધિકારીઓએ બેંકોને મોટું નકશાન કર્યું હતું. જેના કારણે દેશના સમગ્ર આર્થિક તંત્રની ગતિ મંદ પડી ગઇ હતી. સરકાર આ તબક્કે બેંકોને ડિજીટલ પ્લેટફોર્મ પર લઇ જવા માંગે છે જેથી કોની પાસે કેટલી લેાન બાકી છે તે પકડી શકાય. કેટલાક કૌભાંડીઓએ ગેરંટીના એકજ ડોક્યુમેન્ટ પર વિવિધ બેંકોને ખંખેરી લીધી હતી. બેંકોને કરોડો રુપિયાનો ચૂનો ચોપડનારા વગદાર લોકો છે. ટોચના રાજકારણીઓ સાથે તેમની ઉઠક-બેઠક હોય છે. કોરોના વાઇરસના કારણે તેમની સામેની તપાસ લંબાશે અને તેનો તે લાભ ઉઠાવશે. જાણકારો માને છે કે કૌભાંડો કેસમાં લાંબી મુદત મળે એટલે પડદા પાછળ સમાધાનના માર્ગો સક્રીય થઇ જાય છે. બેંકોના પૈસા ડૂબાડનારાઓ કોઇ રીતે બચી શકે એમ નથી. આર્થિક કૌભાંડોના કેસમાં સમાધાન શક્ય નથી હોતું. બેંકોના કૌભાંડમાં સંડોવાયેલા અનેક લોકો જેલમાં છે. તેમના કુટુંબીજનોને પણ ભોગવવાનું આવે છે. વિજય માલ્યાએ દેશ છોડીને ભાગવું પડયું હતું તો નિરવ મોદીની દેશ છોડયા પછી પનોતી બેઠી છે. ભારતમાં તેમની મિલ્કતો લીલામ કરાય છે અને તે પાછા ફરે તો જેલવાસ નક્કી હોય છે. બેંકોના પૈસા ડૂબાડનારાઓ પાસેથી પૈસા કઢાવવામાં મોદી સરકાર નબળી સાબિત થઇ છે. સમગ્ર અર્થતંત્રને મંદી તરફ ધકેલનારાઓને જેલમાં ધકેલવામાં સરકારે ત્વરીત નિર્ણયો લેવા પડશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UQWbQ1
via Latest Gujarati News
0 Comments